ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પરંપરાગત ભવાઈ : ડીસાના આખોલમાં પુરૂષોઓએ સ્ત્રીઓનું વેશ ધારણ કરી ભવાઈ ભજવી

પાલનપુર: ભવાઇ એક પ્રચારનું માધ્યમ છે. વર્ષો પહેલાં પ્રચારના માધ્યમ તરીકે ભવાઇ ભજવવામાં આવતી હતી, પરંતુ આધુનિક યુગમાં આ ભવાઇ ભૂલાવવા માંડી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાં આજે પણ ભવાઇ જીવંત છે અને આવનારી પેઢી પણ ભવાઈના મહત્વને સમજી શકે.

બનાસ નદીના કિનારે આવેલા ડીસા તાલુકાના આખોલ ગામમાં લગભગ અઢીસો વર્ષથી પ્રાચીન ભવાઇ ભજવવામાં આવે છે. આ ભવાઇ નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો પણ આવે છે. આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો ભવાઇને ભૂલી ચૂક્યા છે. પરંતુ ભવાઇ મનોરંજનની સાથે સાથે મીડિયાના માધ્યમ તરીકે પણ વર્ષોથી પ્રચલિત રહી ચૂક્યું છે. એક સમયે જ્યારે સંચારના સાધનો સીમિત હતા ત્યારે લોકો માટે મનોરંજન, પ્રચાર અને લોકજાગૃતિનું કામ ભવાઈના માધ્યમથી થતું હતું. એક પ્રદેશની સંસ્કૃતિ બીજા પ્રદેશમાં ભવાઈના માધ્યમથી પરિચિત કરાવવામાં આવતી હતી, પરંતુ ટીવી અને ઇન્ટરનેટના યુગમાં આ ભવાઇ ભૂલાવવા માંડી છે.

લોકજાગૃતિ-humdekhengenews

ગામના યુવાનો સદીઓ જુની પરંપરા નિભાવે છે 

આ પ્રાચીન ભવાઇ આવનારી પેઢીમાં પણ જીવંત રહે તે માટે આખોલ ગામમાં ચૈત્ર માસમાં ભવાઇ ભજવવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના નાટકો રજૂ કરવામાં આવે છે અને સંવાદ અને વેશભૂષાની મદદથી લોકોને અન્ય સંસ્કૃતિથી અવગત કરવા ઉપરાંત અન્ય વિસ્તારનો ભૌગોલિક અને સાંસ્ક્રુતિક પરિચય આપવામાં આવે છે.

આયોજક કાંતુભા પરમારે અને વિરસંગજીએ જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી ચાલી આવતી આ ભવાઈમાં અનેક કૃતિઓ રજૂ કરવામાં આવે છે અને આ કૃતિઓ અભિનયના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે, પરંતુ ખાસ વાત એ છે કે ભવાઇમાં સ્ત્રીઓ ભાગ લઈ શકતી નથી અને તેવા સંજોગોમાં સ્ત્રીઓના જે પાત્ર હોય છે. તે તમામ પાત્રોમાં પુરુષો જ અભિનય કરતાં હોય છે. એટલું જ નહીં પુરુષો સ્ત્રીઓના પાત્ર ભજવવા માટે સ્ત્રીઓના વેશ પરિધાન કરવા ઉપરાંત સ્ત્રીઓની જેમ સજી ધજીને તૈયાર થાય છે અને ત્યારબાદ રંગમંચ પર પહોંચી અભિનય કરે છે. અને અભિનય પણ કેવો…? આબેહૂબ સ્ત્રીઓનો વેશ પરિધાન કરીને સ્ત્રીઓ જેવો જ અભિનય કરતાં હોય છે અને હજારો લોકો વચ્ચે પણ પુરુષો મહિલાના વેશ પરિધાન કરીને અભિનય કરતાં ક્ષોભ અનુભવતા નથી.

ભવાઈ જોવા હજારો લોકો ઉમટ્યા

આખોલ ગામમાં ભજવાતી ભવાઇનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને સદીઓ બાદ સંસ્કૃતિઓમાં પરીવર્તન જોવા મળતું હોય છે, પરંતુ આખોલ ગામમાં જાણે સમય થંભી ગયો હોય તેમ આજે આધુનિક યુગમાં પણ ભવાઇનું પ્રાચીન સમયની જેમ જ આયોજન થાય છે. નવી પેઢી પણ એટલા જ જોમ અને જુસ્સાથી ભવાઇ ભજવે છે. આજે પણ પ્રાચીન વાંજિંત્રોનો ઉપયોગ કરે છે. પ્રાચીન ભવાઈમાં અભિનય કરતાં કિશોર વયના લોકો સાથે અમે ખાસ મુલાકાત કરી હતી. ત્યારે આ કિશોર વયના લોકો પણ ભવાઈને લઈ ખૂબ જ જાગૃત જોવા મળ્યા હતા અને પોતાના ગામમાં ચાલી આવી રહેલી પરંપરાગત ભવાઇ આવનારી પેઢીમાં પણ સજીવન રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ આધુનિકતાના રંગે રંગાઈ રહ્યું છે.. અને તેની અસર હવે ભારત અને ભારતના ગામડાઓમાં પણ જોવા મળી રહી છે.. ત્યારે આ બદલાવ વચ્ચે પણ આખોલ ગામમાં જે રીતે ભવાઇ ભજવાઈ રહી છે તે ખરેખર સરાહનિય કહેવાય… કારણ કે ભૂલાતી જતી સંસ્કૃતિને જો નાનકડા ગામના લોકો પણ ગંભીર સમજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે શિક્ષિત અને શહેરી લોકો પણ ભારતની ભૂલાતી જતી સંસ્કૃતિને જીવંત બનાવવા માટે આગળ આવવું જરૂરી છે. જેથી ભૂલાતી જતી ભવ્ય ભારતીય સંસ્કૃતિને એકવાર ફરી જીવંત કરી શકાય… !

આ પણ વાંચો :શું હવે ગુજરાતમાં દારૂબંધીની પુનઃ સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે ? તમારું શું માનવું છે ?

Back to top button