દારૂ કૌભાંડ : CBI કેસમાં CM કેજરીવાલની જામીન અરજી ઉપર કાલે નિર્ણય


નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે (13 સપ્ટેમ્બર) પોતાનો ચુકાદો આપશે. ઉલ્લેખનીય છે કે CBI કેસમાં જામીન અરજી સિવાય કોર્ટ ધરપકડને પડકારતી અરજીઓ પર પણ પોતાનો ચુકાદો આપશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની બેંચ આ નિર્ણય આપશે.
મહત્વનું છે કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ સીબીઆઈ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
CM કેજરીવાલની અગાઉ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે કેસમાં જામીન મળ્યા બાદ CBIએ જેલમાંથી જ તેમની ધરપકડ કરી હતી. આ મામલાની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે કરી હતી. આ દરમિયાન કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા, જ્યારે સીબીઆઈ વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ હાજર હતા.