

ભાવનગર પશ્ચિમ બેઠક પરથી જીતુ વાઘાણીની ચૂંટણીને આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ હાઈકોર્ટમાં પડકારી હતી. રાજુ સોલંકીએ તેમની અરજીમાં ચૂંટણી જીતવા માટે ખોટી રણનીતિ અપનાવી હોવાનો આક્ષેપ કરીને ચૂંટણી રદ કરવાની માંગણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીની અરજી પર ભાજપની ટિકિટ પર જીતેલા જીતુ વાઘાણી સહિત મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત અને જિલ્લા ચૂંટણી અધિકારી ભાવનગરને સમન્સ પાઠવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સુનાવણી માટે 21 એપ્રિલની તારીખ નક્કી કરી છે. ભાવનગર પશ્ચિમમાંથી ચૂંટણી લડનાર રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, મતદાન પહેલા જીતુ વાઘાણી અને તેમના લોકો દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે મેં તેમને સમર્થન આપ્યું છે, જ્યારે એવું કંઈ થયું ન હતું. ભાજપના ઉમેદવાર તરફની તેમની રણનીતિથી ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો અને મોટી સંખ્યામાં મતદારો જીતુ વાઘાણીની તરફેણમાં ગયા હતા.
આ પણ વાંચો : 359 તબીબો પાસેથી 18.25 કરોડ વસૂલવાના બાકી, સરકારે આ જ તબીબોના અભ્યાસ માટે કરોડો ખર્ચ્યા !
ચૂંટણી બાદ પોલીસમાં ફરિયાદ કરનાર અને આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરનાર રાજુ સોલંકીએ હવે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. રાજુ સોલંકીની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે જીતુ વાઘાણી સહિત અન્ય પક્ષકારોને સમન્સ પાઠવ્યા છે. કોર્ટમાં આગામી સુનાવણી 21 એપ્રિલે થશે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં જીતુ વાઘાણીનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ ગોહિલ બીજા અને રાજુ સોલંકી ત્રીજા ક્રમે આવ્યા હતા. ચૂંટણીમાં જીતુ વાઘાણીને 85,188 વોટ મળ્યા હતા, જ્યારે રાજુ સોલંકીને 26,408 વોટ મળ્યા હતા.