ટોપ ન્યૂઝવર્લ્ડ

કેપી શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન બન્યા, કાલે લેશે શપથ

Text To Speech

કાઠમંડુ, 14 જુલાઈ : નેપાળના રાષ્ટ્રપતિ કાર્યાલયે CPN-UML પ્રમુખ કેપી શર્મા ઓલીને આગામી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. કેપી શર્મા ઓલી આવતીકાલે સોમવારે સવારે 11 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લેશે તેઓ પુષ્પ કમલ દહલ પ્રચંડનું સ્થાન લેશે. વિશ્વાસ મતમાં નિષ્ફળતાના કારણે શુક્રવારે દહલની સરકાર પડી ગઈ હતી. કેપી શર્માએ શુક્રવારે રાષ્ટ્રપતિને સુપરત કરેલા પોતાના દાવામાં કહ્યું હતું કે તેમની પાસે 166 સાંસદોનું સમર્થન છે, જેમાં યુએમએલના 78 સાંસદો અને નેપાળી કોંગ્રેસના 88 સાંસદોનો સમાવેશ થાય છે.

નેપાળમાં 13 અલગ-અલગ સરકારો બનાવવામાં આવી

રાજાશાહીને છોડીને 2008 માં બંધારણ અપનાવ્યા પછી, નેપાળમાં 13 અલગ-અલગ સરકારો બનાવવામાં આવી છે, ઓલીને ચીન તરફી નેતા તરીકે જોવામાં આવે છે. ઓલીએ ગુરુવારે ‘પ્રચંડ’ને પડતો મૂકવા અને નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવવાના તેમના પક્ષના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે દેશની રાજકીય સ્થિરતા અને વિકાસ જાળવવા માટે તે જરૂરી છે.

ઓલીના નેતૃત્વમાં ભારત-નેપાળના સંબંધોમાં ખટાશ આવી

આ પહેલા ઓલી 11 ઓક્ટોબર, 2015 થી 3 ઓગસ્ટ, 2016 સુધી દેશના વડાપ્રધાન રહી ચુક્યા છે. આ સમયગાળા દરમિયાન કાઠમંડુના નવી દિલ્હી સાથેના સંબંધો તંગ હતા. આ પછી તેમણે 5 ફેબ્રુઆરી 2018 થી 13 મે 2021 સુધી પીએમ તરીકે સેવા આપી હતી. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ઓલીએ નેપાળની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા બદલ જાહેરમાં ભારતની ટીકા કરી હતી અને ભારત પર તેમની સરકારને પછાડવાનો આરોપ લગાવ્યો હતો.

નેપાળમાં વિરોધ પાછળ ભારતના હાથનો આરોપ

નેપાળમાં જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે ત્યાં હિંસક દેખાવો થયા હતા. ઓલીએ આ વિરોધ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમના સમયમાં નેપાળના નકશામાં ભારતીય પ્રદેશો દર્શાવવામાં આવ્યા હતા. જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતા.

Back to top button