ધર્મનવરાત્રિ-2022

માટેલ: જાણો કેવી રીતે જાનબાઇ એ લીધું માતા ખોડીયારનું સ્વરૂપ !

Text To Speech

ગુજરાત એક એવું રાજય છે જયાં અનેક વાર્તા, લોકકથા, જે શ્રદ્વા સાથે જોડાયેલી છે, અને શ્રદ્વાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય, ઝાડ હોય કે, કૂવો, વાવ હોય કે ધરો તેની પોતાની આગવી લોકકથા છે, આવી છે એક કથા છે માટેલીયા ધરાની.

મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલું ખોડિયાર માતાનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે, જેટલી જ શ્રદ્વા અહી માતાજી સાથે જોડાયેલી છે તેટલી જ શ્રદ્વા અહી આવેલા માટેલીયા ધરાના પાણી સાથે પણ જોડાયેલ છે. કહેવાય છે કે માટેલીયા ધરામાં કયારેય પાણી ખૂટતું નથી, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે, પણ અહી આવેલા ધરામાં કયારે પાણી સુકાતું નથી, માટેલ ગામના લોકો આજ ધરાનું પાણી પીવે છે, અને તે પણ ગરણામાં ગાળ્યા વગર જ.

માટેલીયા ધરાની જોડે જ આગળ એક બીજો નાનો ધરો આવેલો છે, જેને ભાણેજીયો ધરો કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ધરાની નીચે ખોડીયાર માતાજીનું સોનાનું મંદિર આવેલું છે જે આજે પણ ત્યાં જ છે. પરંતુ કોઈને દેખાયું નથી, લોકવાયકા અનુસાર બાદશાહે આ મંદિરને જોવની ઇચ્છા રાખી નવસો નવાણું કોષ પાણી ખેચવાનું સાધન મંગાવ્યું હતું, ત્યારે ધરાનું પાણી કોષ દ્વારા ખેંચી લેવાતા ધરાની નીચે રહેલા મંદીરની ઉપર સોનાનું ઈંડુ જોવા મળ્યું હતું. આ વાતથી ખોડીયાર માતાજી કોપાયમાન થયા હતા અને તેમને ભાણેજીયાને બોલાવ્યો અને આ ધર્મ એટલું પાણી ભરી દીધું કે નવસો નવાણું કોષ પાણીમાં પાછા ગરકાવ થઈ ગયા હતાં. માતાજીએ પોતાનું સત દેખાડીને એ સમયે પોતાના હોવાને પરચો આપ્યો હતો. આ વાતનો ઉલ્લેખ “ગળધરેથી માજી નીસર્યા” ગરબામાં પણ જોવા મળે છે જે ખોડીયાર માતાજી સાથે જોડાયેલો છે.ખોડિયાર માતા માટેલ- humdekhengenewsતમને જણાવી દઈએ કે, માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, મંદિરમાં ચાર પ્રતિમા છે, આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની. અહી આવેલું વૃક્ષ, માટેલીયો ધરો સાથે મા ખોડિયારના પરચા જોડાયેલા છે. ખોડિયાર માતાએ ડોશીમા બનીને પરચા આપ્યા હોય તેવી કથાઓ પણ છે, તો માટેલીયા ધરો, અહીનું વૃક્ષ અને મંદિરમાં રહેલુ ત્રિશૂળ દરેક સાથે એક અલગ કથા જોડાયેલી છે.

આ પણ વાંચો: અંબાજીના પવિત્ર શક્તિપીઠ વિશે શું તમે આ વાત જાણો છો ?

એક દંતકથા અનુસાર, આ માટેલીયા ધરાની નીચે જ ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે, પણ આજ દિન સુધી ધરાનું પાણી કયારેય સુકાયું નથી, અને મંદિર દેખાયું નથી, એકવાર એક રાજાએ તે પ્રયાસ કરી પણ જોયો, પરંતુ માતાજીના પરચા સામે તેના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડયા.

ધાર્મિક માહાત્મ્ય

મા ખોડલના પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું. તેમની અન્ય છ બહેનાનાં નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઇ, હોલબાઇ અને સોસાઇ હતાં. જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું.

મૂળ ભાવનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડલમાતાજીના પિતાને પહેલા કોઈ સંતાન ના હોઈ લોકો વાંઝિયાનું મહેણું મારતા હતા. આ જ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ. આ ઘટનાથી ખૂબ લાગી આવતાં મામળિયા શિવ આરાધના માટે નીકળી પડ્યા.

મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે. દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણાં મૂક્યાં. જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયાં.ખોડિયાર માતાજી- humdekhengenewsદંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા.

સવારે સૂર્ય ઊગવાની થોડીક જ વાર હતી જાનબાઈ ન આવતાં આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા ને. એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર. મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો.

સૌનાં દુ:ખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક લોકો પૂજે છે. લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે. અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

મંદિરનાં મુખ્ય આકર્ષણો

વરખડીના ઝાડ નીચે આવેલું માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે. અહીં એક ત્રિશૂલ દર વર્ષે એક ઈંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ભક્તો દર્શન બાદ ધરાનું પાણી માથે ચડાવવાનું પણ નથી ભૂલતા. માટેલિયા ધરામાં ભરઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે.

નિર્માણ

લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.

માટેલમાં ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે. મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે. જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે. બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે.

આ પણ વાંચો: નવરાત્રીના ચોથા નોરતે જાણો માતા ભદ્રકાળીનો મહિમા !

Back to top button