પંજાબઃ તરનતારન અટેકની પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ, ISIએ સ્લીપર સેલની મદદથી કર્યું હતું પ્લાનિંગ


તરનતારનઃ પંજાબના તરનતારનાના સરહાલી પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે રોકેટ લોન્ચરથી થયેલા હુમલામાં ખાલિસ્તાન સમર્થક આતંકીઓનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISIના ઈશારે ખાલિસ્તાન સમર્થક આતંકીઓએ પંજાબમાં સક્રિય પોતાના સ્લીપ સેલના માધ્યમથી આ ઘટનાને અંજામ આપ્યો છે.
આ હુમલો સરહાલીમાં કરાયો, આ તે જ જગ્યા છે જ્યાં કુખ્યાત ગેંગસ્ટર હરવિંદર સિંહ ઉર્ફે રિંદાનું પૈતૃક ઘર છે. જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત દિવસોમાં રિંદાનું પાકિસ્તાનમાં મોત થયું હતું.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI રિંદાના ટેરરને કાયમ રાખવા માગે છે. આ કારણે જ માનવામાં આવે છે કે સાંકેતિક રીતે આ અટેક કરાયો છે. કુખ્યાત આતંકી રિંદા ખાલિસ્તાન સમર્થક હતો. હાલ તેના ખૌફને યથાવત રાખવા માટે પાકિસ્તાન દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં મોહાલીમાં પંજાબ ઈન્ટેલીજન્સની ઓફિસમાં પણ અટેક થયો હતો. હવે આ રીતે જ તરનતારનના સરહાલીમાં હુમલો થયો છે. હુમલા પછી પંજાબ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પંજાબના ડીજીપી સરહાલી માટે રવાના થયા છે.