વિશેષ

JCBથી દીવાલ પડતા 2 લોકોના મોત મામલે મૃતકના ભાઇએ JCBચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોંધાવી

Text To Speech

અમદાવાદ: ખોખરા અનુપમ બ્રિજની કામગીરી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી રિવર્સ લેતા દીવાલ તૂટી હતી અને જેમાં દીવાલને અડીને બેસેલા પિતા-પુત્રીનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જે બાદ કેટલાક લોકોએ જેસીબી ચાલક પર પથ્થર મારો કર્યો હતો. આ મામલે મૃતકના ભાઈએ જેસીબી ચાલક સામે સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોંધાવી છે. જ્યારે જેસીબી ચાલકે 4 શખ્સો સામે પથ્થમારો કરવા બદલ ફરિયાદ કરી છે.

ધીરુભાઈ સલાટે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે બપોરે તેમનો નાનો ભાઈ પ્રકાશ અને તેની 2 વર્ષની દીકરી મંદિર પાસે દીવાલને અડીને બેઠા હતા. ત્યારે અજાણ્યા જેસીબી ચાલકે પુરપાટ ઝડપે અને ગંભીરતાપૂર્વક જેસીબી ચલાવીને જેસીબી ચાલકે દીવાલને ટક્કર મારી દીવાલ તૂટી હતી. જેના કારણે તેમનો ભાઈ અને તેની દીકરી નીચે દટાયા હતા. જેમાં તેમના ભાઈ અને દીકરીને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ બંનેના મોત થયા છે. જ્યારે જેસીબીચાલક ત્યાંથી નાસી ગયો હતો. જેથી જેસીબી ચાલક સામે સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોંધાવી છે.

જેસીબી ચાલક મુકેશ સોલંકીએ પણ ફરિયાદ નોંધાવી છે કે, તેનો ડ્રાઇવર 2 દિવસથી ના હોવાથી તે પોતે જેસીબી ચલાવી રહ્યો હતો. તે દરમિયાન રિવર્સ લેતા જેસીબીનો પાછળનો ભાગ દીવાલને અડતા દીવાલ પડી હતી. દીવાલ પડતા ત્યાં હાજર લોકોએ લાકડી અને દંડા વડે તેને માર માર્યો હતો અને બાદમાં તે બચવા ભાગતા લોકોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર માથામાં વાગતા લોહી નીકળ્યું હતું. જેથી તેને સારવાર સિવિલ હોસ્પિટલ આવ્યો હતો પરંતુ પથ્થરમારો કરીને માર મારનાર 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે બંનેની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે..

Back to top button