જમ્મુ અને કાશ્મીર : કઠુઆ એન્કાઉન્ટરમાં ત્રણ જવાનો શહીદ થયા, 2 આતંકી ઠાર કરાયા

જમ્મુ, 28 માર્ચ : જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના ગાઢ જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની જોરદાર અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસના 3 જવાન શહીદ થયા છે, જ્યારે બે અન્ય ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર છેલ્લા 4 દિવસથી કઠુઆના જંગલોમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનનો એક ભાગ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગાઢ જંગલોમાં ચારથી પાંચ આતંકીઓ છુપાયા હતા. સુરક્ષા દળોએ જુથાના વિસ્તારમાં તેમનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યું, ત્યારબાદ ભારે ગોળીબાર શરૂ થયો. આ એન્કાઉન્ટર હીરાનગર સેક્ટરથી લગભગ 30 કિમી દૂર આવેલા જાખોલે ગામ પાસે થયું હતું. આ જ વિસ્તારમાં રવિવારે (23 માર્ચ) પ્રથમ એન્કાઉન્ટર થયું હતું, જેમાં આતંકવાદીઓને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતીય સેનાના વિશેષ દળો મેદાનમાં ઉતર્યા હતા. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) નલિન પ્રભાત પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઓપરેશનનું નિરીક્ષણ કર્યું. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે ગુરુવારના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ એ જ છે જેઓ રવિવારે હીરાનગર એન્કાઉન્ટર દરમિયાન ભાગવામાં સફળ થયા હતા.
સર્ચ ઓપરેશન મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે
22 માર્ચથી સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ, આર્મી, NSG, BSF અને CRPF મળીને ઓપરેશન ચલાવી રહ્યા છે. યુએવી, ડ્રોન, બુલેટપ્રૂફ વાહનો અને અન્ય આધુનિક સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રવિવારે (23 માર્ચ) એન્કાઉન્ટર દરમિયાન હિરાનગરના સાન્યાલ ગામમાં આતંકીઓ છુપાયા હતા, એસઓજીએ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર લગભગ 30 મિનિટ સુધી ચાલ્યું, પરંતુ આતંકવાદીઓ જંગલ તરફ ભાગવામાં સફળ થયા હતા.
સર્ચ માટે ડ્રોન, હેલિકોપ્ટરનો ઉપયોગ
સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે થર્મલ ઇમેજિંગ, ડ્રોન, હેલિકોપ્ટર, બુલેટપ્રૂફ વાહનો અને સ્નિફર ડોગ્સની મદદથી મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા સોમવારે હીરાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન M4 કાર્બાઇનના ચાર લોડ કરેલા મેગેઝિન, બે ગ્રેનેડ, બુલેટપ્રૂફ જેકેટ, સ્લીપિંગ બેગ, ટ્રેકસૂટ, ખાદ્ય પદાર્થો અને IED બનાવવા માટેની સામગ્રી મળી આવી હતી.