ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયેલના લોકો માલદીવ જઈ શકશે નહીં! રફાહ હુમલાથી નારાજ મુઇઝઝૂ સરકારે લાદ્યો પ્રતિબંધ

  •  માલદીવના લોકોમાં સતત વધી રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો

નવી દિલ્હી, 3 જૂન: ઈઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે માલદીવ સરકારે મોટો નિર્ણય લીધો છે. માલદીવ સરકારે પાસપોર્ટના નિયમોમાં ફેરફાર કરીને ઈઝરાયેલના પાસપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય બાદ હવે ઈઝરાયેલના નાગરિકો માલદીવ જઈ શકશે નહીં. ગાઝાના રફાહ પર ઈઝરાયેલી સેનાના હુમલાને લઈને માલદીવના લોકોમાં સતત વધી રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. માલદીવના ગૃહમંત્રીએ ઈમરજન્સી પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, આજે કેબિનેટે માલદીવમાં ઈઝરાયેલના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા માટે કાયદામાં જરૂરી ફેરફારો કર્યા છે. કેબિનેટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મંત્રીઓની વિશેષ સમિતિની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ માલદીવની મુલાકાત લે છે.

માલદીવ સરકારે પેલેસ્ટિનિયન નાગરિકો માટે ફંડ એકત્ર કરવા અને તેમને ટેકો આપવા માટે મુસ્લિમ દેશો સાથે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, UNRWA દ્વારા પેલેસ્ટિનિયન નાગરિકો માટે ભંડોળ એકત્ર કરવામાં આવશે. આ સાથે કેબિનેટે એવા વિસ્તારોની ઓળખ કરવા માટે એક વિશેષ દૂતની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે જ્યાં પેલેસ્ટાઈનને માલદીવની મદદની સખત જરૂર છે.

રફાહમાં 6 મેથી ઈઝરાયેલનું ઓપરેશન 

આ પહેલા ઈન્ટરનેશનલ કોર્ટે ઈઝરાયેલને રફાહ શહેર પર હુમલા રોકવા માટે કહ્યું હતું, પરંતુ તેમ છતાં મંગળવારે પહેલીવાર ઈઝરાયેલની સેનાની ટેન્કો ગાઝાના રફાહમાં પ્રવેશી હતી. 7 ઓક્ટોબરે હમાસ સાથેના યુદ્ધના સાત મહિના બાદ ઇઝરાયેલી સેનાએ 6 મેના રોજ રફાહમાં ઑપરેશન શરૂ કર્યું હતું. 27 મેના રોજ ઇઝરાયેલે રફાહમાં રાહત શિબિરમાં બોંબમારો કર્યો હતો. હમાસે આ હુમલામાં 45 નાગરિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. વિશ્વભરમાં આ હુમલાની ટીકા થઈ ત્યારે બેન્જામિન નેતન્યાહુએ તેને દુ:ખદ અકસ્માત ગણાવ્યો.

જો કે, આ હુમલા પછી તરત જ, IDFએ દાવો કર્યો હતો કે, તેઓએ હમાસના અડ્ડાને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં, IDF એ હમાસના બે ટોચના કમાન્ડર – યાસીન રાબિયા અને ખાલેદ નજ્જરને માર્યા હોવાનો દાવો કર્યો હતો.

7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલુ

ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર પાંચ હજાર રોકેટ છોડ્યા હતા. આ સાથે હમાસના લડવૈયાઓએ દક્ષિણ ઈઝરાયેલમાં ઘૂસીને લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. હમાસના આ હુમલામાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સામે યુદ્ધ શરૂ કર્યું. થોડા મહિના પહેલા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારમાં ઘણા બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ ડઝનબંધ બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું છે કે, જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં લગભગ આઠ મહિનામાં 37 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે લાખો લોકો શરણાર્થીઓની જેમ જીવવા મજબૂર છે અને રાહત શિબિરોમાં જીવી રહ્યા છે.

આ પણ જુઓ: આઈસલેન્ડને મળ્યા બીજા મહિલા પ્રમુખ, બિઝનેસવુમેન હલ્લા ટોમસડોટીર 1 ઓગસ્ટથી પદ સંભાળશે

Back to top button