ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાનમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો, 9ના મોત, 31 ઘાયલ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્કઃ ઈરાનના દક્ષિણ ભાગમાં સ્થિત નસિરિયા શહેરમાં સોમવારે (28 ઓગસ્ટ) ના રોજ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, યાત્રાળુઓથી ભરેલી બસ પવિત્ર શિયા મુસ્લિમ શહેર કરબલા તરફ જઈ રહી હતી. રોયટર્સે સૂત્રોને ટાંકીને માહિતી આપી હતી કે બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં લગભગ 31 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 5ની હાલત અત્યંત ગંભીર છે.

મક્કા પછીનું સૌથી પવિત્ર સ્થળ કરબલાઃ શિયા મુસ્લિમોનું સૌથી પવિત્ર સ્થળ કરબલા શહેર એ જ શહેર છે, જ્યાં ઈરાનના પવિત્ર સ્થળ પર જતી વખતે બસ દુર્ઘટના બની હતી. અહેવાલ મુજબ કરબલા શહેરને શિયા મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ શહેર બગદાદથી 88 કિલોમીટર દૂર આવેલું છે. ઈસ્લામ માટે મક્કા પછીનું સૌથી પવિત્ર સ્થળ કરબલા છે. 680 એડી દરમિયાન કરબલામાં શિયાઓ અને સુન્નીઓ વચ્ચે યુદ્ધ થયું હતું, જેને કરબલાનું યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થાન પર ઇમામ હુસૈનની કબર છે, જે શિયા મુસ્લિમોનું પવિત્ર મંદિર માનવામાં આવે છે.

એક મિનિબસ કોતરમાં પડીઃ અહેવાલ મુજબ 25 ઓગસ્ટના રોજ ઈરાનમાં ક્લાઈમ્બર્સને લઈ જતી એક મિનિબસ કોતરમાં પડી હતી. આ અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા હતા. ઈરાનના સત્તાવાર સમાચાર મીડિયા IRNA અનુસાર, ઈમરજન્સી સર્વિસના પ્રવક્તા વાહિદ શાદીનિયાએ જણાવ્યું કે આ દુર્ઘટના શુક્રવાર (25 ઓગસ્ટ)ના રોજ પૂર્વ અઝરબૈજાન પ્રાંતના વરાઝાઘાન શહેરની નજીક બની હતી.

9 લોકોના મોતઃ ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાનો ભોગ બનેલી મિનિબસ પહાડી વિસ્તારમાંથી પસાર થઈને પર્યટન સ્થળ તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક કોઈ કારણસર બસ પલટી ગઈ અને ખાઈમાં પડી ગઈ. શાદીનિયાએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ડ્રાઇવર સહિત 9 લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. જો કે, તેમણે એમ પણ કહ્યું કે જો લોકોએ સીટ બેલ્ટ પહેર્યો હોત તો મૃત્યુઆંક ઓછો હોત.

ઈરાનની ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ ખરાબઃ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની ટ્રાફિક સિસ્ટમ આખી દુનિયામાં ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. અહીં દર વર્ષે લગભગ 20 હજાર લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેની પાછળ ખરાબ ડ્રાઇવિંગ અને રસ્તાની નબળી જાળવણી પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

Back to top button