

- આતંકી હુમલાની અફવાને પગલે મોટો નિર્ણય લેવાયો
- કોન્ફરન્સ સ્થળ આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું
- CRPFની સ્પેશિયલ QAT દ્વારા મોકડ્રિલ કરવામાં આવી
જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં G20 સમિટની યજમાની માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન કાર્યક્રમમાં મોટા ફેરફારોની વાત સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોન્ફરન્સમાં ભાગ લેનારા તમામ વિદેશી મહેમાનો હવે ગુલમર્ગ નહીં જાય. બીજી તરફ, તમામ એજન્સીઓએ મળીને સુરક્ષા ગ્રીડને મજબૂત કરવા માટે દરેક જરૂરી પગલા લીધા છે. આને ધ્યાનમાં રાખીને CRPFની સ્પેશિયલ વેલી QAT (ક્વિક એક્શન ટીમ) દ્વારા વિશ્વ પ્રસિદ્ધ દાલ સરોવરમાં એક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી.
આંતરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટમાં ભૂલને કોઈ અવકાશ નહીં
શ્રીનગરના દાલ તળાવના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKIC)ની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં G20 બેઠક યોજાઈ રહી છે. તળાવમાં સુરક્ષાના સ્તરને વધારવા માટે વિશેષ માર્કોસ પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા અધિકારીએ કહ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટ બનવા જઈ રહી છે જેમાં કોઈ ભૂલને અવકાશ નથી. તેમણે કહ્યું કે આથી તમામ સુરક્ષા એજન્સીઓ સંકલન સાથે કામ કરી રહી છે જેથી આતંકવાદીઓના નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવે.