અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

નડાબેટ ખાતે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાશે, રાજ્યમાં 312 સ્થળોએ આયોજન

અમદાવાદ, 18 જૂન 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ૨૧મી જૂને યોજાનારા ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં ઉજવણીના આયોજનને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો
વડાપ્રધાન મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ૨૦૧૫થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે. દર વર્ષે ૨૧મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. ૨૦૨૪નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ વિષયવસ્તુ સાથે યોજવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોની સહભાગીતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.

સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે
મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં યોગ દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. રમત-ગમત અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે આ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું કે, ૨૧મી જૂને સવારે ૦૭:૦૦ થી ૦૭:૪૫ સુધી એટલે કે ૪૫ મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે. મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે. રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

યોગ-સંસ્કાર શિબિરનો ૨૨ હજારથી વધુ બાળકોને લાભ અપાયો
આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગપ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ગુજરાત યોગમય બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૦૬:૩૦ કલાકે તેમજ વડાપ્રધાન મોદી સવારે ૦૬:૪૦ કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ કાર્યક્રમની છણાવટ કરતા કહ્યું કે, કાઉન્‍ટ ડાઉન કાર્યક્રમો અન્‍વયે યોગોત્સવ-૨૦૨૪ થીમ સાથે ૧૦૦ થી વધુ કાર્યક્રમો યોજીને કોમન યોગ પ્રોટોકોલ શિબિરોનું આયોજન થયું હતું. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો છે એમ તેમણે ઉમેર્યું હતું. બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને 200થી વધુ સ્થળોએ યોગ-સંસ્કાર શિબિરનો ૨૨ હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃગાંધીનગર ખાતેથી TD અને DPT રસીકરણ અભિયાનનો કરાયો રાજ્યવ્યાપી પ્રારંભ

Back to top button