ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રામલીલા મેદાનમાં ઈન્ડી ગઠબંધનની મહારેલી, જાણો વિપક્ષી નેતાઓએ શું કહ્યું

દિલ્હી, 31 માર્ચ: લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે અને તમામ પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આજે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી પાર્ટીઓના ઈન્ડી ગઠબંધન દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષી દળોના અનેક અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. વિપક્ષી ગઠબંધને આ રેલીને ‘લોકશાહી બચાવો રેલી’ નામ આપવામાં આવ્યું હતું. આ રેલીમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ ભાગ લીધો હતો.

ઈન્ડી ગઠબંધનની આ મહારેલીમાં આ આગેવાનો જોડાયા

ઈન્ડી ગઠબંધનની મહારેલીમાં સોનિયા ગાંધી (કોંગ્રેસ), એમ ખડગે (કોંગ્રેસ), રાહુલ ગાંધી (કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી), ઉદ્ધવ ઠાકરે (યુબીટી), આદિત્ય ઠાકરે (યુબીટી), અખિલેશ યાદવ (એસપી), તેજસ્વી યાદવ (આરજેડી), ડેરેક ઓ’બ્રાયન (TMC), ટી શિવા (DMK), ફારૂક અબ્દુલ્લા (NC), ચંપાઈ સોરેન (JMM), કલ્પના સોરેન (JMM), સીતારામ યેચુરી (CPM), ડી રાજા (CPI), દિપાંકર ભટ્ટાચાર્ય (CPI- ML), જી દેવરાજન (ફોરવર્ડ બ્લોક) જોડાયા હતા.

અખિલેશ યાદવે શું કહ્યું?

અખિલેશ યાદવે કહ્યું કે રેલીનું આયોજન કરવા બદલ AAP નેતાઓનો આભાર. આજે અમે દિલ્હી આવ્યા છીએ અને દિલ્હીના લોકો બહાર ગયા છે. સમજી લો કે અમે બધા સાથે આવી રહ્યા છીએ અને દિલ્હીના લોકો કાયમ માટે બહાર જઈ રહ્યા છે. વધુમાં સત્તા પક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે જો 400 સીટો આવી રહી છે તો તમે ચિંતા કેમ કરો છો, કેજરીવાલ અને સોરેનને જેલમાં કેમ મોકલ્યા છે. તેમણે કહ્યું કે અમે આવનાર વ્યક્તિનું સ્વાગત કરીએ તો ધામધૂમથી વિદાય પણ આપીએ છીએ.

રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા

રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજે હું કેજરીવાલ જી અને સોરેન જીનું નામ લેવા નથી માંગતો, કારણ કે અમે દિલથી સાથે છીએ. રાહુલે કહ્યું કે અમારા તમામ ખાતાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, નેતાઓને ખરીદવામાં આવ્યા છે, નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા છે. આ મેચ ફિક્સિંગ કરવામાં મોદીજી એકલા નથી, તેમની સાથે 2-3 અબજોપતિઓ પણ છે. લોકોના હાથમાંથી અધિકારો છીનવી લેવા માટે આવું કરવામાં આવી રહ્યું છે, જે દિવસે બંધારણ ખતમ થઈ જશે તે દિવસે દેશ બચશે નહીં. જો ભારતમાં મેચ ફિક્સિંગ ચૂંટણીમાં ભાજપ જીતશે અને બંધારણ બદલાશે તો આખો દેશ સળગી જશે. આ દેશને બચાવવાની ચૂંટણી છે.

દેશમાં મિશ્ર સરકારની જરૂર છે: ઉદ્ધવ ઠાકરે

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત વિપક્ષી ગઠબંધનની રેલીમાં શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન સરકાર પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે સરકાર એક વ્યક્તિ અને એક પક્ષ દ્વારા ચલાવી શકાય નહીં. આપણે મિશ્ર સરકાર બનાવવી પડશે. તેમણે કહ્યું કે આખો દેશ કલ્પના સોરેન અને સુનીતા કેજરીવાલની સાથે છે. બીજેપીને લાગતું હશે કે અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડ કરવાથી લોકો ડરી જશે પરંતુ તેમણે ક્યારેય પોતાના દેશવાસીઓને ઓળખ્યા નથી.

સુનીતા કેજરીવાલે આપ્યો અરવિંદ કેજરીવાલનો સંદેશ

અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે રેલીમાં દિલ્હીના સીએમનો સંદેશ વાંચ્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલને લાંબા સમય સુધી જેલમાં ન રાખી શકાય, તે સિંહ છે. ભાજપના લોકો કહી રહ્યા છે કે કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ, તમે મને કહો કે કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ? તેમણે કહ્યું કે કેજરીવાલે જેલમાંથી જ ગઠબંધન વતી 6 ગેરંટી આપી છે. સમગ્ર દેશમાં 24 કલાક મફત વીજળી આપવાની ગેરંટી, દેશના દરેક જિલ્લામાં મોહલ્લા ક્લિનિક, દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો, ખેડૂતોને MSP અને તમામ વિસ્તારોમાં સારી શાળાની ગેરંટી.

ભગવાન રામના આદર્શોમાંથી શીખવું જોઈએ: કલ્પના સોરેન

અમારી આદિવાસીઓની વાર્તા લાંબા યુદ્ધની વાર્તા છે. લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ થયો છે, તેને ખતમ કરવા તમે લોકો આવ્યા છો. આજે બંધારણની ગેરંટીને ખતમ કરવામાં આવી રહી છે. તેની ગેરંટી કોણ લેશે? દેશમાં કોઈ નેતા મહાન ન હોઈ શકે. દેશની જનતા સૌથી મોટી છે. જો આપણે આપણા દેશને બચાવવો હોય તો આપણે ઈન્ડી ગઠબંધનને સાથ આપવો પડશે. કલ્પનાએ કહ્યું કે હેમંત જીની બરાબર 2 મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને કેજરીવાલ જીની 10 દિવસ પહેલા કોઈ પુરાવા વગર ધરપકડ કરવામાં આવી હતી. આજે આપણે બધાએ ભગવાન રામના આદર્શોમાંથી શીખવું જોઈએ. ઝારખંડ નમશે નહીં, ભારત ઝૂકશે નહીં.

તેજસ્વી યાદવે શું કહ્યું?

તેજસ્વી યાદવે કહ્યું કે જે રીતે દેશના ભાગલા પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે તે જોતા જ અમારે બધાએ એક સાથે આવવું પડ્યું છે. આ વખતે 400 પારના નારા લગાવનારતો ગમે તે બોલશે, એમનું મોં છે એટલે એ કંઈ પણ કહેશે, પરંતુ આનો નિર્ણય જનતા કરશે. એવું લાગે છે કે EVM પહેલેથી જ સેટ છે. દેશમાં અઘોષિત ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. કોઈની સાથે દુર્વ્યવહાર નથી કરવાનો, પરંતુ સત્તામાં રહેલા લોકોને સવાલ પૂછવાનું અમારું કામ છે.

દેશ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે: મહેબૂબા મુફ્તી

ઈન્ડી ગઠબંધનની ‘મહારેલી’ને સંબોધતા પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આજે દેશ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એવી સ્થિતિ છે કે, ના કોઈ વકીલ, ના કોઈ દલીલ, ના કોઈ કાર્યવાહી, સીધી જેલ. કદાચ આને જ કલિયુગનું અમૃતકાલ કહેવાતો હશે કે તમે લોકોને કંઈપણ પૂછ્યા વિના સીધા જેલમાં જ મોકલી દો છો… હું તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કરું છું જેમને તમે મત આપીને એમએલએ, સાંસદ, મુખ્યમંત્રી, મંત્રી બનાવો છો. કેવી રીતે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવે છે અને કોઈપણ વકીલાત કે કાર્યવાહી વિના સીધા જેલમાં જ મોકલી દેવામાં આવે છે… અમે છેલ્લા 5 વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં આ જ જોયું છે.

કોઈ ખાસ વ્યક્તિની રેલી નથી: જયરામ રમેશ

અગાઉ એવું માનવામાં આવતું હતું કે રામલીલા મેદાનની આ રેલીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આયોજિત રેલી તરીકે રજૂ કરવામાં આવી શકે છે. જો કે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે આ કોઈ ખાસ વ્યક્તિની રેલી નથી. તેથી જ તેને લોકશાહી બચાવો રેલી નામ આપવામાં આવ્યું છે. આ કોઈ એક પાર્ટીની રેલી નથી, લગભગ 27-28 પાર્ટીઓ આ રેલીમાં જોડાઈ છે. આ રેલીમાં ઈન્ડી ગઠબંધનના તમામ પક્ષો હાજર છે.

આ પણ વાંચો: રામલીલા મેદાનમાં પહેલા કેજરીવાલના પોસ્ટર હટાવ્યા, પછી મંચ પર પહોંચ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા

Back to top button