ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજને INS SURAT નામ અપાયું, 17મીએ રક્ષા મંત્રી રાજનાથસિંહ લોકાર્પણ કરશે

Text To Speech

ડાયમંડ અને ટેક્સ્ટાઇલ ક્ષેત્રે દેશ અને વિદેશમાં પ્રખ્યાત સુરતે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે.  ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજને INS – SURAT નામ આપવામાં આવ્યું છે. ગુજરાતના વિકાસમાં સુરતનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. સુરતની ડાયમંડ અને ટેકસટાઇલ માર્કેટ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. સુરતના આ અભુતપૂર્વ યોગદાનને બિરદાવતા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજને INS – SURAT નામ આપવામાં આવ્યું છે. INS સુરત 17 મેના રોજ મઝાગોન ડોક્સ ખાતે લોન્ચ થશે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે.

સુરત અને ઉદયગીરીનું લોકાર્પણ થશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહ 17 ​​મેના રોજ મુંબઈમાં મઝાગોન ડોક્સ લિમિટેડ ખાતે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોનું લોકાર્પણ કરશે. INS – SURAT ‘પ્રોજેક્ટ 15B’ પ્રોગ્રામ હેઠળ ચોથું અને છેલ્લું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે, જ્યારે બીજું જહાજ ‘ઉદયગીરી’ ‘પ્રોજેક્ટ 17A’ ફ્રિગેટ પ્રોગ્રામનો ભાગ છે. ભારતીય નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “દેશ સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે જ્યારે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ 17 મેના રોજ મુંબઈમાં મઝાગોન ડોક્સ લિમિટેડ ખાતે એક સાથે લોન્ચ કરાશે.

INS – SURAT પ્રોજેક્ટ 15B વિનાશકનું ચોથું જહાજ
પ્રોજેક્ટ 15B વર્ગના જહાજો ભારતીય નૌકાદળના નેક્સ્ટ જનરેશનના સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે જે મુંબઈમાં મઝાગોન ડોક્સ લિમિટેડ ખાતે બનાવવામાં આવી રહ્યા છે.INS – SURAT પ્રોજેક્ટ 15B વિનાશકનું ચોથું જહાજ છે, જે P15A (કોલકાતા વર્ગ) વિનાશકની નોંધપાત્ર ઓવરઓલની શરૂઆત કરે છે અને તેનું નામ ગુજરાત રાજ્યની વ્યાપારી રાજધાની સુરત પરથી રાખવામાં આવ્યું છે.

જાણો શું વિશેષતાઓ છે INS સુરતની?
INS Surat 7400 ટન વજનનું યુદ્ધ જહાજ છે. તેની લંબાઈ 163 મીટર (553 ફૂટ), બીમ 17.4 મીટર (57 ફૂટ), ડ્રાફ્ટ 6.5 મીટર (21 ફૂટ) છે. આ જહાજમાં 9900 hpનું ડીઝલ એન્જિન છે. WCM-1000 જનરેટરની સ્પીડ 56 કિલોમીટર (30 નોટિકલ) પ્રતિ કલાક છે. 4 ઇન્ટરસેપ્ટર બોટ સાથે 4600 મીટર સુધીની ફાયર ક્ષમતા ધરાવે છે.

શહેરના નામ પરથી જહાજના નામ
ભારતના રક્ષા મંત્રાલય દ્વારા 7400 ટન વજન ધરાવતા ચોથા યુદ્ધ જહાજનું નામકરણ INS – SURAT રાખવામાં આવ્યું છે. INS SURAT પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), INS પારાદીપ (ઓડિશા) અને INS ઇમફાલ (મણિપુર) રાખવામાં આવ્યા છે.

Back to top button