ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડ રૂપિયાનો દંડ

નવી દિલ્હી, 26 માર્ચઃ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગને ટેલિકોમ ઇક્વિપમેન્ટની આયાતમાં ગરબડી કરવામાં આવ્યો હોવાના આરોપસર ભારત દ્વારા કંપનીને હાલમાં જ 601 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 5156 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા થોડા વર્ષમાં આ સૌથી મોટી ટેક્સની માગ કરવામાં આવી છે. ભારત દ્વારા આ જે દંડ કરવામાં આવ્યો છે, જેના પરથી સંકેત મળે છે કે ભારત સરકારની વિદેશી કંપનીઓના કાવાદાવા પર બાજનજર છે.
સેમસંગે આપી ખોટી માહિતી
સરકારને ટેક્સ ઑથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે સેમસંગ દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. 4G ટેલિકોમ સિસ્ટમ માટે સૌથી મહત્ત્વનો પાર્ટ રીમોટ રેડિયો હેડને સેમસંગ દ્વારા કોરિયા અને વિએતનામમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો. આ પાર્ટને મોબાઇલ ટાવર પર લગાવવામાં આવે છે, જે સિગ્નલને ટ્રાન્સમિટ કરવામાં મદદ કરે છે. એના પર સરકાર દ્વારા 10થી 20 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. જોકે સેમસંગ દ્વારા 2018થી લઈને 2021 સુધી આ માટે એક પણ ડ્યુટી ભરવામાં નથી આવી.
સૂત્રોના અનુસાર સેમસંગ દ્વારા આ પાર્ટ્સ મુકેશ અંબાણીના જિયોને સપ્લાઇ કરવામાં આવે છે. આ માટે ઇનવેસ્ટિગેશન કરવામાં આવ્યું અને એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સેમસંગ દ્વારા ટેક્સમાંથી બચવા માટે જાણીજોઈને કસ્ટમને ખોટા ડૉક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા. કસ્ટમ્સ કમિશનર સોનલ બજાજે કહ્યું કે ‘સેમસંગ દ્વારા ભારતના કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમના કારણે બિઝનેસના એથિક્સ અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીત પર પણ સવાલો કરવામાં આવી રહ્યા છે. સરકાર સાથે ફ્રોડ કરીને કેવી રીતે વધુ પ્રોફિટ મેળવી શકાય એના પર આ કંપનીઓ ફોકસ કરી રહ્યા છે.’
ટેક્સ ન ભરવા અને એના પર સો ટકા પેનલ્ટી લગાવતાં સેમસંગે એ માટે 4461 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. સેમસંગ ઇન્ડિયાના સાત એક્ઝિક્યુટિવ પર 695 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ બે રકમ મળીને 5156 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે.
કોને કોને કરવામાં આવ્યો દંડ?
દંડનીય વ્યક્તિઓમા નેટવર્ક ડિવિઝનના વાઇસ પ્રેસિડન્ટ સુંગ બીમ હોંગ, ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર ડોંગ વોન ચું, ફાઇનાન્સની જનરલ મેનેજર શીતલ જૈન, ઇનડાયરેક્ટ ટેક્સના જનરલ મેનેજર નિખિલ અગ્રવાલ સહિત અન્ય ત્રણનો સમાવેશ થાય છે
શું કહ્યું સેમસંગે?
સેમસંગ દ્વારા કંઈ પણ ખોટું ન કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે કસ્ટમના ક્લાસિફિકેશનમાં કોઈ ગેરસમજ થઈ હોવાને કારણે આ થયું છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે ભારતીય કાયદાનો અમલ કર્યો છે અને પોતાના હકને જાળવી રાખવા માટે કયા કાયદાકીય પગલાં લઈ શકાય એ વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. સેમસંગ દ્વારા એ પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે કસ્ટમના કર્મચારીઓને આ વિશે વર્ષોથી માહિતી છે.
અનેક કંપની પર પડી શકે છે અસર
ભારત દ્વારા સેમસંગ પર ફટકારવામાં આવેલા દંડની અસર હવે દરેક વિદેશી કંપનીઓ પર પડી શકે છે. સરકાર હવે દરેક કંપની કેવી રીતે કામ કરે છે એ વધુ આકરી રીતે તપાસ કરશે. અગાઉ પણ ફોક્સવેગન સાથે આ પ્રકારનો કેસ થયો હતો. કારમાં પાર્ટ્સ વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી, જે બદલ 1.4 બિલિયન અમેરિકન ડૉલરનો દંડ ફટકારાયો હતો. આ કેસ હજી પણ ચાલી રહ્યો છે. સેમસંગ સાથેનો આ કેસને લઈને હવે ભારતમાં રોકાણ કરનારાને વિચાર કરવાની ફરજ પાડી શકે છે.
આ પણ વાંચોઃ જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે