ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

દાન પર જીવતા નિષ્ફળ રાષ્ટ્રએ કોઈને જ્ઞાન ન આપવું જોઈએ: સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ખખડાવી નાખ્યું

જિનિવા, 27 ફેબ્રુઆરી 2025: ભારતે સ્વિટ્ઝરલેન્ડના જિનિવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારની બેઠકમાં પાકિસ્તાનને ફટકાર લગાવી છે. પાકિસ્તાન તરફથી ફરી એક વાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારતે આકરું વલણ અપનાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 58માં સત્રની સાતમી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ ક્ષિતિજ ત્યાગીએ કરતા કહ્યું કે, ભારત, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા નિરાધાર અને દુર્ભાવનાપૂર્ણ સંદર્ભોનો જવાબ આપવા માટે પોતાના અધિકારોનો ઉપયોગ કરી રહ્યું છે. આ જોવું દુખદ છે કે પાકિસ્તાનના તથાકથિત નેતા અને પ્રતિનિધિ કાશ્મીરને લઈને ધડાધડ જૂઠાણા ફેલાવી રહ્યા છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નિયમોની મજાક ઉડાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ બનીને રહેશે.

જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ થયો

ભારતના પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલી અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ પોતે જ ઘણું બધું કહી જાય છે. આ સફળતાઓ દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી પ્રભાવિત પ્રદેશમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાની સરકારની પ્રતિબદ્ધતામાં લોકોના વિશ્વાસનો પુરાવો છે.

પાકિસ્તાને પોતાના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે એક દેશ (પાકિસ્તાન) જે માનવાધિકાર ઉલ્લંઘન, લઘુમતીઓ પર અત્યાચાર અને લોકશાહી મૂલ્યોનું અધોગતિ કરે છે અને જે ખુલ્લેઆમ યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપે છે, તે કોઈને પણ ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી. તેના વાણી-વર્તનમાં દંભ અને શાસનમાં અસમર્થતાની ગંધ આવે છે. ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, પાકિસ્તાને પોતાના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

‘પાકિસ્તાને શીખવાની જરૂર છે’

ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પરિષદનો સમય એક નિષ્ફળ રાષ્ટ્ર દ્વારા બગાડવામાં આવી રહ્યો છે જે પોતે અસ્થિરતા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે, ભારતનું ધ્યાન લોકશાહી, વિકાસ અને તેના લોકો માટે આદર સુનિશ્ચિત કરવા પર છે. આ એવા મૂલ્યો છે જેમાંથી પાકિસ્તાને કંઈક શીખવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સરકારના પ્રતિનિધિ, આઝમ નઝીર તરારે કહ્યું હતું કે કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો: મહાકુંભ: 45 દિવસથી ચાલી રહેલા મહાપર્વનું સમાપન, રેકોર્ડ 66.30 કરોડ શ્રદ્દાળુઓએ ડૂબકી લગાવી

Back to top button