આવકવેરા વિભાગે લોન્ચ કરી AIS એપ, જાણો કઈ રીતે મદદરૂપ થશે કરદાતાને


આવકવેરા વિભાગે AIS એપ લોન્ચ કરીને કરદાતાઓને નવી રાહત આપી છે. આ એપનો ઉપયોગ કરીને, કરદાતાઓ તેમના ટીડીએસ (સ્રોત પર કર કપાત) અને ટીસીએસ (સ્રોત પર ટેક્સ કલેક્શન)ની વિગતો સાથે વ્યાજ, ડિવિડન્ડ અને શેર સોદાને લગતી તમામ માહિતી માત્ર તેમના મોબાઇલ પર જ જોઈ શકશે. આ સાથે તેમને વિભાગની સેવાઓ પર પોતાનો અભિપ્રાય આપવાનો વિકલ્પ પણ મળશે. કરદાતાઓ આ મોબાઈલ એપ દ્વારા એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ટેક્સપેયર ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (TIS) એક્સેસ કરી શકશે. આવકવેરા વિભાગ દ્વારા આ સેવાઓ મફતમાં આપવામાં આવશે. કરદાતાઓ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી મોબાઈલ એપ ‘AIS ફોર ટેક્સપેયર્સ’ ઈન્સ્ટોલ કરી શકશે.
કરદાતાઓ PAN નંબર દાખલ કરીને પોતાની નોંધણી કરાવી શકશે
આ એપ ઇન્સ્ટોલ કર્યા બાદ કરદાતાઓએ તેના પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તેઓએ પોતાનો PAN નંબર આપવો પડશે. આ પછી, આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર એક OTP મોકલવામાં આવશે. આ દાખલ કરીને, તેઓ તેમના એકાઉન્ટને પ્રમાણિત કરી શકશે. આ પ્રક્રિયા પછી, કરદાતાઓ તેમની ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે એપ પર ચાર અંકનો પિન નંબર સેટ કરી શકશે.
સીબીડીટીએ એક નિવેદન જારી કરીને એપ વિશે માહિતી આપી છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એપનો હેતુ કરદાતાઓને AIS અને TIS વિશે માહિતી આપવાનો છે. તે કરદાતાઓને તેમના મોબાઈલ પર જ વિવિધ સ્ત્રોતોમાંથી ઉપલબ્ધ માહિતી પ્રદાન કરશે. આવકવેરા વિભાગે કહ્યું છે કે AIS એપ લોન્ચ કરવાનો હેતુ વિભાગની ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવા અને કરદાતાઓને વધુ સારી સેવાઓ આપવાનો છે.