ગુજરાતચૂંટણી 2022

આચારસંહિતાનું કેટલું છે મહત્વ, શું થઈ શકે અને શું ન થઈ શકે ?

તમામ અટકળોનો અંત આવી જતા આજે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ જાય છે. ચૂંટણીના તમામ પક્ષો એ આચાર સંહિતાના નિયમોનું પાલન કરવાનું ફરજીયાત હોઈ છે. જે પક્ષ આ નિયમો નું ઉલ્લંઘન કરે તો તેની ઉપર કાનૂની કાર્યવાહી પણ થઇ શકે છે. ત્યારે આ ચૂંટણી પહેલા લાગતી આચાર સંહિતા છે શું? આચાર સંહિતાના નિયમો શું હોય છે અને ચૂંટણી પહેલા કેવી રીતે કામ કરે છે.

શું છે આચાર સંહિતા ?

આદર્શ આચાર સંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે. આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે. આચારસંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે છે. જોકે આચારસંહિતા કોઈ કાયદાના દાયરામાં નથી પરંતુ તેને તમામ રાજકીય પક્ષોની સહમતીથી બનાવવામાં આવી છે. જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચારસંહિતા લાગુ થાય છે.

આ પણ વાંચો:ગુજરાતમાં ક્યા વિસ્તારમાં અને કઈ બેઠક પર ક્યારે થશે મતદાન ?, જાણો તમામ અપડેટ

આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે?

આચારસંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે. તેના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્યના પોતાના અધિકારીક પદોનો ચૂંટણીમાં લાભ માટે ગેરઉપયોગ ન કરી શકે. આદર્શ આચારસંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ. જેના દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેઠકોનું આયોજન, શોભાયાત્રાઓ, રેલીઓ, મતદાનના દિવસની ગતિવિધિઓ તથા સત્તાધારી દળોના કામકાજ વગેરેમાં તેનો સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે. જેના દ્વારા સામાન્ય જનતામાં વિશ્વાસ બેસે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે.

આચારસંહિતાનો ભંગ થાય તો જેલ થાય?

કોઈ પણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી છે. સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના ધારે મત નહીં માગી શકે. જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે. તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતા પણ અટકાવી શકાય છે. આચારસંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર થતા પ્રચાર પર પણ આચાર સંહિતા લાગે?

સોશિયલ મીડિયા દ્વારા થતા પ્રચાર પર પણ આચારસંહિતા લાગુ હોય છે. સોશિયલ મીડિયા પર થતા પ્રચારનો ખર્ચ પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબમાં જોડવામાં આવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાત આપતાં પહેલાં ચૂંટણીપંચને તેની જાણકારી આપવાની રહેશે. ચૂંટણીપંચ પરવાનગી આપે ત્યારબાદ જ આ જાહેરાતોને સોશિયલ મીડિયા પર મૂકી શકાય છે. ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોએ ચૂંટણીપંચને તેના પ્રચારનો ખર્ચનો હિસાબ આપવાનો રહે છે. જો હિસાબમાં ગોટાળો જોવા મળે તો ઉમેદવારને ત્રણ વર્ષ માટે ગેરલાયક પણ ઠેરવી શકાય છે. જોકે એ ચૂંટણીપંચ પર નિર્ભર છે કે તે આચારસંહિતાનો અમલ કેટલી કડકાઈથી કરાવી શકે છે.

 

Back to top button