ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી મેળામાં સ્વચ્છતાના હેતુસર શ્રીફળ કલેક્શન માટે કાઉન્ટર બનાવાયા

Text To Speech
  • શ્રીફળ કલેકશન કરીને પ્રસાદીરૂપે અડધું શ્રીફળ પરત આપવામાં આવે છે એ સુવિધા ખરેખર ખુબ સારી છે:–શ્રદ્ધાળુ શ્રીમતી ગુલાબબેન

પાલનપુર  : વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે. આ પવિત્ર યાત્રા શ્રદ્ધાળુઓ માટે સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

અંબાજીમાં આવતા યાત્રાળુઓ દ્વારા માતાજીને પ્રસાદી રૂપે ચડાવવા વધેરવામાં આવતા શ્રીફળ- નારિયેળના લીધે કાદવ- કીચડ ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા પુરવઠા કચેરી અને બનાસકાંઠા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા શ્રીફળ એકત્ર કરવા માટે 10 કાઉન્ટર અને શ્રીફળ કટિંગ માટે 5 મશીન રાખવામાં આવ્યા છે. કટિંગ કરેલું શ્રીફળ માઈભક્તોને પરત મળે તેવી સુંદર વ્યવસ્થા અંબાજી બસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે જેનાથી અંબાજીની સ્વચ્છતા અને ભક્તોની સુવિધામાં વધારો થયો છે.

આ સુવિધા અંગે વાત કરતા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ કેશરસિંહ રાજપૂતે જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા જળવાય તે માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શ્રીફળ કલેક્શન માટે કાઉન્ટર બનાવવામાં આવ્યા છે તેના પર રોજે રોજ 20 જેટલાં સ્વયંસેવકો દ્વારા શ્રીફળ કલેક્ટ કરવામાં આવે છે અને તેઓને પ્રસાદ રૂપે કટીંગ કરેલુ શ્રીફળ પરત આપવામાં આવે છે. આ વ્યવસ્થાની યાત્રિકો ખૂબ સરાહાના કરી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

આજે પાલનપુરથી સહપરિવાર આવેલા શ્રદ્ધાળુ ગુલાબબેને જણાવ્યું કે, આ વખતે મેળામાં વહીવટી તંત્ર દ્વારા ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં સ્વચ્છતા વિશેષ કાળજી લેવામાં આવી છે. શ્રીફળ વધેરવાથી જે પાણી બહાર જતું હતું તેના બદલે શ્રીફળ કલેકશન કરીને પ્રસાદીરૂપે અડધું શ્રીફળ પરત આપવામાં આવે છે એ સુવિધા ખરેખર ખુબ સારી અને વખાણવાલાયક છે.

આ પણ વાંચો : ભારતના સૌપ્રથમ API પ્રોટીન પ્લાન્ટનો ગુજરાતમાં વિધિવત પ્રારંભ

Back to top button