ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય, નવી જૂની શરતના કારણે ઊભા થયેલા પ્રશ્નોનું હવેથી જિલ્લા કક્ષાએ નિવારણ થશે

Text To Speech

ગાંધીનગરઃ મહેસૂલ પ્રકિયાના સરળીકરણને લઈને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. નવી જૂની શરતના કારણે જે વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. હવે તેનું જિલ્લા કક્ષાએ નિવારણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ અહેવાલનો સ્વીકાર કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ તથા વહીવટમાં પારદર્શિતાના મહત્વપૂર્ણ જનહિતકારી નિર્ણયો કર્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, ‘મહેસૂલી વહીવટમાં સરળીકરણની ભલામણો માટે રચાયેલી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદ્દઅંશે સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.’

વર્ષો જૂના નિયમો રદ્દ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ-ગવર્નન્સ એટલે કે સુસાશનની આગવી પરિપાટીને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના વર્ષો જૂનાં અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જૂની શરતની અસમંજસતાથી ઉદ્ભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે.

CMએ મહેસૂલ વિભાગને આદેશ આપ્યાં હતા
અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્યકક્ષા સુધી આવવું પડતું હતું. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતું હતું અને જુદાં-જુદાં અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખૂબ વિલંબ થતો હતો. તેથી મુખ્યમંત્રી સમક્ષ આ વિષય આવતા તેમણે આ મામલે નિરાકરણ લાવવા મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગને આદેશ આપ્યો હતો. ત્યારે આ મામલે મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા ૨૪ જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જૂની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દૂર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યું છે અને આ અંગેની વિગતવાર સૂચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

Back to top button