નવરાત્રીમાં તમે પણ અખંડ જ્યોત રાખતા હોય તો પહેલા જાણી લો આ નિયમ


- કેટલાક લોકો ઘરમાં અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. કેટલાક લોકો સોસાયટીમાં નવરાત્રીના ગરબા દરમિયાન અખંડ જ્યોત રાખતા હોય છે. અખંડ જ્યોત એટલે કે નવ દિવસ સુધી પ્રગટતી રહેતી જ્યોત
HD ન્યુઝ ડેસ્કઃ નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે. કેટલાક લોકો ઘરમાં અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. કેટલાક લોકો સોસાયટીમાં નવરાત્રીના ગરબા દરમિયાન અખંડ જ્યોત રાખતા હોય છે. અખંડ જ્યોત એટલે કે નવ દિવસ સુધી પ્રગટતી રહેતી જ્યોત. તે એકમના દિવસે કળશની સ્થાપના સમયે પ્રગટાવવામાં આવે છે અને છેલ્લા દિવસ સુધી તે એ જ અવસ્થામાં રહે છે. જો તમે પણ તમારા ઘરમાં માતાજીની સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવતા હોય તો તમારે એ પહેલા કેટલીક બાબતો જાણવી જોઈએ. અખંડ જ્યોત પ્રગટાવવાના કેટલાક નિયમો હોય છે.
અખંડ જ્યોતના નિયમો જાણો
જો તમે અખંડ જ્યોત પ્રગટાવતા હોવ તો ધ્યાન રાખો કે આ માટે જ્યોતનો દીવો અને વાટ એટલી મોટી હોવી જોઈએ કે તે લાંબા સમય સુધી ચાલે. તમારે અખંડ જ્યોતની દેખભાળ કરવી પડશે. ધ્યાન રાખો કે સ્નાનાદિ કર્મ પતાવીને પવિત્ર થયા પછી જ અખંડ જ્યોતમાં શુદ્ધ દેશી ઘી ભરો. તેને ક્યારેય ગંદા હાથથી ક્યારેય અડવું જોઈએ નહીં. અખંડ જ્યોતિ પ્રગટાવવા માટે વપરાયેલો દીવો અથવા તૂટેલા દીવાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દીવાની વાટ નાડાછડીમાંથી પણ બનાવી શકાય છે, તેમાં ચોખા ભરવામાં આવે છે. તેને જમીન પાસે નહીં, પરંતુ માતાજીના ફોટા કે મૂર્તિ પાસે ચોખાથી ભરેલી થાળીમાં રાખવામાં આવે છે. જ્યાં જ્યોત પ્રગટી રહી હોય તે જગ્યાને તાળું ન લગાવવું જોઈએ. તેમાં ત્રણ-ચાર કલાક ચાલે તેટલું ઘી ભરો. અખંડ જ્યોત સમાપ્ત થવા દેવાતી નથી. તે જાતે જ કન્યા પૂજન બાદ સમાપ્ત થાય છે. જો કોઈ કારણોસર તમે તમારા ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી શકતા નથી, તો તમારે તમારા નામની અખંડ જ્યોતની સામગ્રી કોઈ મંદિરમાં દાન કરી દેવી જોઈએ.
આ પણ વાંચોઃ નવરાત્રીના ઉપવાસ માટે ઘરે જ બનાવો મખાના નમકીન અને ચિક્કી, મળશે ભરપૂર એનર્જી