કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

પતિ પત્નીની હત્યા કરી જૂનાગઢ જતો રહ્યો, રાજકોટ પરત આવી પોતે ટ્રેન નીચે ઝંપલાવ્યું

Text To Speech

રાજકોટઃ શહેરમાં હત્યાનો એક એવો મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં પતિએ પહેલાં પત્નીની હત્યા કરીને જૂનાગઢ ભાગી ગયો અને બાદમાં રાજકોટ આવીને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. પતિ તેની માનસીક બીમારીની દવા લેવા જવાનું કહીને પત્ની સાથે નીકળ્યો હતો. આ હત્યા પાછળનું કારણ શું એ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વહેલી સવારે અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં ગોંડલ જેતપુર નેશનલ હાઈવે નજીક ગઈકાલે વહેલી સવારે અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે ફોરેન્સિક એક્સપર્ટને બોલાવીને સેમ્પલ લીધા હતાં. જ્યાં તપાસ દરમિયાન એક છરી અને એક જોડી ચપ્પલ મળ્યા હતાં. જ્યારે મૃતકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલા મળી આવ્યા હતાં. મૃતક યુવતીના ડાબા હાથે રવિ અને સોનલ નામ કોતરાવેલ હતું. ઘટના સ્થળેથી મળેલ સેમ્પલના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

યુવકે ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો હતો
ગઈકાલે રાજકોટના અટીકા ફાટક નજીક એક અજાણ્યા યુવકે ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવતાં તે કિટીપરા વિસ્તારમાં રહેતો રવિ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ યુવતીની ઓળખ સોનલ હોવાની થઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરાથી તપાસ કરી હતી અને પરિવારના સભ્યોની પણ પુછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, બંનેના લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં. રવિની માનસિક બીમારીની દવા ચાલુ હતી. તે બંને દવા લેવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. ત્યારે રવિએ સોનલના ગળા પર છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી.ત્યારબાદ તે જૂનાગઢ પહોંચ્યો હતો અને ત્યાંથી ટ્રેન મારફતે રાજકોટ પરત આવ્યો હતો. જ્યાં તેણે ટ્રેનની નીચે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ હત્યા અને આપઘાતનું કારણ શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ પેલેડિયમ મોલમાં ત્રીજા માળે સ્થિત રિલાયન્સ ડિજિટલમાંથી 80 હજારનો આઈફોન ચોરાયો

Back to top button