ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતી-રાજસ્થાનીઓને મહારાષ્ટ્રમાંથી કાઢી મૂકશો તો રાજ્યમાં પૈસો જ નહીં વધેઃ રાજ્યપાલ; શિવસેનાએ કહ્યું આ શિવાજીનું અપમાન

Text To Speech

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના નિવેદનથી વધુ એક વિવાદ ઉભો થયો છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતા રાજ્યપાલે એવું કહી દીધું હતું કે, જો મુંબઈ-થાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મૂકીશું તો મહારાષ્ટ્રમાં રૂપિયો વધશે નહીં અને મુંબઈ જે આર્થિક પાટનગર છે તે પછી આર્થિક પાટનગર કહેવાશે જ નહીં. ત્યારે આ નિવેદનને લઈને શિવસેનાએ રાજ્યપાલ કોશિયારી પર નિશાન સાધ્યું છે. જેના પગલે મહારાષ્ટ્રમાં શિવસેના વર્સિસ રાજ્યપાલનો માહોલ ઊભો થયો છે.

શિવસેનાએ મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું
રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. શિવસેનાએ રાજ્યપાલના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે. મુંબઈના અંધેરી પશ્ચિમમાં એક સ્થાનીક ચોકનું નામ સ્વર્ગસ્થ શ્રીમતી શાંતિદેવી ચમ્પાલાલજી કોઠારીના નામે રાખવામાં આવ્યું છે. શુક્રવારે આ જ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન સંબોધન કરતા રાજ્યપાલે કહ્યું હતું કે- “ક્યારેક હું અહીંના લોકોને કહુ છું કે, મહારાષ્ટ્રમાં અને તેમાં પણ ખાસ કરીને મુંબઈ-થાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને બહાર કાઢી દઈએ તો તમારે અહીં પૈસો વધશે જ નહીં. આ મુંબઈ આર્થિક પાટનગર કહેવાય છે, તે પછી આર્થિક પાટનગર નહીં કહી શકાય.”

સંજય રાઉતે ટ્વિટ કરી ગવર્નર પર નિશાન સાધ્યું
રાજ્યપાલના નિવેદનનો હવે શિવસેનાના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટર પર લખ્યું છે કે- “મહારાષ્ટ્રમાં ભાજપ પ્રાયોજીત મુખ્યમંત્રી આવવાથી મરાઠી લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થવાનું શરૂ થઈ ગયું છે. સ્વાભિમાન અને અભિમાનના નામે બનેલી શિવસેનામાંથી નીકળનારા લોકો આ સાંભળીને પણ ચૂપ છે તો હવે સીએમ શિંદે કદી શિવસેનાનું નામ ના લે. રાજ્યપાલનો વિરોધ તો કરવો જોઈએ. આ મરાઠી મહેનતું લોકોનું અપમાન છે. આ જ મહારાષ્ટ્રએ હિન્દુત્વની લડાઈ લડી હતી. ના માત્ર શિવસેના પરંતુ દરેક વ્યક્તિ રાજ્યપાલના નિવેદનની નિંદા કરે છે.”

આ સાવિત્રીબાઈ ફુલે અને શિવાજીનું અપમાન છેઃ રાઉત
રાઉતે વધુમાં કહ્યું છે કે- “મહારાષ્ટ્રના રાજ્યપાલનું નિવેદન આઘાતજનક અને નિંદનીય છે. રાજ્યના લોકોએ તેમની મહેનતથી મહારાષ્ટ્ર બનાવવા માટે લોહી-પાણી એક કર્યું છે. 105 લોકોએ બલિદાન આપ્યું અને ઘણાં લોકો જેલ ગયા છે. રાજ્યપાલ મહારાષ્ટ્રનો ઈતિહાસ નથી જાણતા. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ નિવેદન વખોડવું જોઈએ અને કેન્દ્રને રાજ્યપાલ હટાવવાની માંગણી કરવી જોઈએ. આ સાવિત્રીબાઈ ફુલે અને શિવાજીનું અપમાન છે. આ નિવેદનથી આખા મહારાષ્ટ્રને ગુસ્સો આવ્યો છે.”

કોંગ્રેસે પણ નિવેદનની નિંદા કરી
બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા સચિન સાંવતે પણ કહ્યું છે કે- “આ ભયાનક વાત કહેવાય કે રાજ્યના રાજ્યપાલ જ રાજ્યના લોકોને બદનામ કરી રહ્યા છે. તેમના રાજ્યપાલ રહેવાથી મહારાષ્ટ્રની રાજનીતિની પરંપરાનું પતન થયું છે અને મહારાષ્ટ્રનું પણ સતત અપમાન કરવામાં આવી રહ્યું છે.”

રાજ્યપાલ કોશ્યારી માફી માંગે: NCP
તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અમોલ મિતકારીએ રાજ્યપાલના નિવેદનનો વિરોધ કર્યો છે. NCP ધારાસભ્યએ કહ્યું કે- મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો કુશળ અને સક્ષમ છે. અમે વફાદાર લોકો છીએ જે ચટણી અને રોટલી ખાઈએ છીએ અને બીજાને પણ ખવડાવીએ છીએ. ધારાસભ્ય મિતકારીએ કહ્યું કે, તમે મરાઠી લોકોનું અપમાન કર્યું છે. તમારે વ્હેલી તકે મહારાષ્ટ્રની માફી માંગવી જોઈએ.

Back to top button