સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી કાર્બોસેલ ખનીજની ૩૦ લીઝમાંથી કેટલી આવક થઈ? મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું


- છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને ૩૦ લીઝમાંથી રૂ.779 લાખથી વધુની રોયલ્ટીની આવક થઈ
ગાંધીનગર, 17 માર્ચ : સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૧૯૯૫ થી ૨૦૨૦ સુધીમાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ કુલ ૭૮.૭૬ હેક્ટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજના ખનન માટે કુલ ૩૦ લીઝને મંજૂરી આપવામાં આવી છે, જે હાલમાં કાર્યરત છે. આ કુલ ૩૦ લીઝમાંથી વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીમાં ૧૨ લીઝની માપણી કરવામાં આવી છે.
આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં આ ૩૦ લીઝમાંથી રાજ્ય સરકારને કુલ રૂ. ૭૭૯ લાખથી વધુની રોયલ્ટી સ્વરૂપે આવક થઈ છે તેમ, વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ખાણ અને ખનીજ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ ૩૦ લીઝમાંથી છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર ખનન અંગે કુલ પાંચ કેસ નોંધાયા છે. આ મંજૂર થયેલી લીઝમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ગેરકાયદેસર ખનન સામે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કામ લેવામાં આવે છે. આ પ્રકારના કેસમાં ગુનેગારો સામે પાસા તેમજ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીને કરોડોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો :- અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈવે બનાવવા કુલ રૂ.3350 કરોડ ખર્ચાશે, 98% કામ પૂર્ણ