કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

કેવી રીતે બરવાળામાં બન્યો લઠ્ઠાકાંડ ? મુખ્ય સૂત્રધાર જયેશ પાસેથી પોલીસે મેળવી માહિતી

Text To Speech

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નભોઈ ગામે દેશી દારૂ પીવાથી 30 લોકોના મોત થયા હતા. બોટાદ અને ધંધુકામાં આ લઠ્ઠાકાંડને કારણે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. લઠ્ઠાકાંડને પગલે ટપોટપ લોકોના મોત થવાની ઘટનાને ઉચ્ચ અધિકારીઓ એફએસએલની મદદથી તપાસ કરાવતા દેશી દારૂમાં મિથેનોલ કેમિકલને પગલે લઠ્ઠાકાંડ થયાનું ખુલ્યું હતું. ધંધુકા અને બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 30 લોકોના મોતનો મુખ્ય સૂત્રધાર જયેશ ખાવડીયા અને દિનેશ ઉર્ફ બંટી રાજપૂત પકડાયા છે. ક્રાઇમબ્રાન્ચે બન્ને આરોપીને બોટાદ પોલીસને સોંપવા તાજવીજ કરી છે. જ્યેશે તેના ફોઈના પુત્ર સંજયને 600 લીટર મિથેનોલ આલ્કોહોલ કેમિકલ 40 હજારમાં વેચાણ આપ્યું હતું.

હાલ પોલીસ સ્ટેશનમાં 26 જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આઇપીસીની કલમ 302, 328, 120(બી) અને પ્રોહી એકટની કલમ 67 (1)એ મુજબની કલમો ફરિયાદમાં દાખલ કરી છે. દેશી દારૂમાં મિથેનોલ આલ્કોહોલ કેમિકલ બુટલેગરો સુધી જયેશ ખાવડીયા થકી પહોંચ્યાની વિગત મળી હતી. જેના પગલે ક્રાઇમબ્રાન્ચે ધંધુકાના સાલાસર ગામના જયેશ રમેશભાઈ ખાવડીયા અને તેના સાગરીત દિનેશ ઉર્ફ બંટી રાજપૂતને ઉપાડ્યા હતા.

gujarat latha kand

પીપળજની એમોસ કોર્પોરેશનમાં જયેશ કામ કરતો

પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એમોસ કોર્પોરેશન કંપનીમાં જયેશ લેબર કોન્ટ્રેકટર કમ ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. આ કંપનીમાંથી જયેશે તેના કામ દરમિયાન કેમિકલની કાઢ્યું હતું. જયેશ એમોસ કંપનીમાં ચાંગોદરની ફીનાર કંપની દ્વારા સપ્લાય થતા મિથેનોલ આલ્કોહોલ કેમિકલને બેરલમાંથી કાઢી અઢી લીટરની કાચની બોટલમાં ભરી Bottling & Crimpingનું જોબ વર્ક કરતો હતો. બેરલમાંથી કેમિકલ કાઢી બોટલમાં ભરતા પહેલા આ જ કેમિકલથી તેણે વોશ કરવું પડે છે. આ પ્રોસેસ દરમિયાન જ્યેશે મિથેનોલનો જથ્થો સંગ્રહ કરી 600 લીટર જેટલું કેમિકલ કાઢ્યું હતું.

આ પણ વાંચો : કેજરીવાલનો ટાર્ગેટ ‘આપ’ણું ગુજરાત : સોમનાથના દર્શન કર્યા, ગુજરાતના વેપારીઓને આપી મોટી ગેરંટી

ફોઈના પુત્ર સંજયને 40000માં 600 લીટર કેમિકલ આપ્યું

જ્યેશે આ કેમિકલ બોટાદના નભોઈમાં રહેતા ફોઈ કંચનબહેનના પુત્ર સંજયને આપવાનું નક્કી કર્યું હતું. આરોપીએ તેના સાગરીત બંટી આઠે મળી ચાર માસમાં એકત્ર કરેલ 600 લીટર કેમિકલના ત્રણ કેરબા મિત્ર ગોપાલ ભરવાડના ટેમ્પામાં મુકાવી ડીલીવરી કરવા ગયા હતા.

જયેશ અને બંટી બન્ને જણા ટેમ્પોમાં કેમિકલ ભરી ગત તા.22મીના રોજ સાંજેના 5 વાગ્યે કમોડ, ધોળકા, બગોદરા, ધંધુકા, તગડી થઈ ભલગામડા કેનાલ પર પહોંચ્યા હતા. જે સ્થળે સંજયને બોલાવી આરોપીઓએ મિથેનોલ કેમિકલનો જથ્થો આપ્યો હતો. બોલેરો ગાડીમાં આ જથ્થો આરોપીઓએ સંજય સાથેના અન્ય માણસોને મદદ કરી ગાડીમાં મુકાવ્યો હતો. જેના CCTV પણ સામે આવ્યા છે.

Lathakand Aaropi

40 હજારમાં 600 લીટર કેમિકલ વેચ્યું

જ્યેશે 600 લીટર કેમિકલનો જથ્થો સંજય ભીખાભાઇ કુમારખાણીયાને વેચી રૂ.40 હજાર લીધા હતા. આ ઉપરાંત આરોપીએ ભાડાના 1500 બીજા લીધા હતા. આ કેમિકલ સપ્લાય થયાના 4 દિવસમાં લઠ્ઠાકાંડ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે જયેશ ખાવડીયા અને બંટી રાજપૂતની પૂછપરછ કરી તેમાં આ સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. બન્ને આરોપીઓને વધુ તપાસ માટે બોટાદ પોલીસને સોંપવા કાર્યવાહી કરાઈ છે. આ ગુનામાં નભોઈમાં કેમિકલ સપ્લાય કરનાર સંજયની તપાસ ચાલુ છે.

Back to top button