

પાલનપુર: જુનાગઢ ખાતે યોજાયેલા SEEG નેશનલ સેમિનાર 2022 માં ડીસાના ખેડૂતએ રાજ્ય કક્ષાનો એવોર્ડ મેળવ્યો હતો. એમના કામને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્વીટ કરીને બિરદાવ્યું છે.
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો ખેતી ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં જળહળતી સફળતા મેળવી રહ્યા છે. તે પછી દાડમ કે બટાટાનું ઉત્પાદન કેમ ના હોય. આપણે વાત કરી રહ્યા છીએ ડીસા તાલુકાના નાગફણા ગામમાં રહેતા અને ઉત્સાહી યુવા ખેડૂત પંકભાઈ ભુરાભાઈ દેસાઈની. પંકજભાઈએ એમ.કોમ. વિથ ઈંગ્લિશ સુધી અભ્યાસ કરીને નોકરી કરવાના બદલે આધુનિક ટેકનલોજીથી મધમાખીના ઉછેરમાં રસ દાખવ્યો હતો. અને તેમાંય વળી એશિયાની સૌથી મોટી ડેરી ઍવી બનાસ ડેરીનો સહયોગ મળી ગયો. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડીસા ખાતે આવ્યા હતા ત્યારે તેમને બનાસ ડેરીનો મધમાખી પ્રોજેક્ટ લોન્ચ કર્યો. એમાંથી માર્ગદર્શન લઈ પંકજભાઈ દેસાઈએ વર્ષ 2016 માં મધમાખીના ઉછેર કરવાનું ચાલુ કર્યું હતું . જેમાં એક નહિ પણ આજે આ યુવાન ખેડૂત 900 પેટી રાખી વર્ષે 30 લાખ જેટલું મધનું ઉત્પાદન કરી રહ્યો છે. આજ સુધી આ ખેડૂતને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે આઠ જેટલા એવોર્ડ આપી તેમના કામને બિરદાવ્યું છે .
હવે બનાસકાંઠામાં સ્વીટ રિવોલ્યુશન
મધમાખી ઉછેરનો પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે કહ્યું ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ આ દિશામાં કામ ચાલુ કરી દીધું હતું. દૂધની આવક સાથે પશુપાલકો મધમાખીનો ઉછેર કરીને વધારાની આવક મેળવી શકે તે માટે બનાસ ડેરીએ પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે બનાસ ડેરીના પશુપાલકો અને મધમાખી ઉછેર કરતા ખેડૂતો તરફથી મળતું મધ ડેરી દ્વારા બજારમાં મુકાયું છે.