ગૃહમંત્રી અમિત શાહ આજે CM સાથે કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે


રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તાર કચ્છની મુલાકાત લેવા આવશે તેમ જાણવા મળી રહ્યું છે. જાણકારી મુજબ અમિત શાહ આજે ભુજ એરપોર્ટ પર આવશે અને ત્યાથી તેઓ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.
અમિતશાહ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે
મળતી માહીતી મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાએ રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે ભારત સરકારના અધિકારીઓ, રાજ્યના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ પ્રકારની મદદ આપવા માટે પહેલ કરી હતી. તેમજ તેઓ આજે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હશે.
અમિત શાહ કચ્છમાં હવાઈ નિરીક્ષણ કરશે
અમિત શાહ આ આફતના લેન્ડફૉલના બે દિવસ પહેલાં 13 જૂને તેલંગાણાનો પ્રવાસ રદ કરીને દિલ્હીમાં સમીક્ષા બેઠક કરી હતી. જાણકારી મુજબ તેઓ થોડી વારમાં અમદાવાદ આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહ કચ્છના ભુજ ખાતે પહોંચશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. તેમજ હવામાન અનુકૂળ રહ્યું તો ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં હવાઈ નિરીક્ષણ પણ કરી શકે છે.
મુખ્યમંત્રીએ નુકસાન અંગે જિલ્લાના ડીએમ પાસે રિપોર્ટ માગ્યો
મહતવનું છે કે કચ્છ-સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીએ જિલ્લાના ડીએમ પાસે રિપોર્ટ માગ્યો છે. મુખ્યમંત્રીએ વાવાઝોડાના લેન્ડફોલની રાત્રે અને બીજા દિવસે કંટ્રોલ રૂમમાંથી મીટિંગ કરી હતી અને રાહત-બચાવમાં લાગેલા કર્મીઓની પણ પ્રશંસા કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ વાવાઝોડાને પગલે સ્થળાંતર કરાયેલા લોકોને કૅશ ડોલ્સ એટલે કે સહાય રકમ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો : જૂનાગઢ : પોલીસ સાથે ઘર્ષણની ઘટનામાં એકનું મોત, પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા