ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં એક મહિનામાં બીજી વખત હિન્દુ મંદિરમાં તોડફોડ, વાંધાજનક નારા પણ લખાયા

  • છેલ્લા કેટલાક દિવસોથી BAPS સ્વામિનારાયણ મંદિરને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે

કેલિફોર્નિયા, 26 સપ્ટેમ્બર: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા હિન્દુ મંદિરો પર હુમલા થયા છે. ન્યૂયોર્કની ઘટનાને 10 દિવસ પણ વિત્યા નથી, ત્યાં હવે કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. મંદિરની બહારના બોર્ડ પર હિન્દુ વિરોધી ટીપ્પણીઓ લખવામાં આવી છે.

 

પોલિસ હેટ ક્રાઇમની કરી રહી છે તપાસ 

સેક્રામેન્ટો કાઉન્ટીના પોલીસ અધિકારીઓ ‘હેટ ક્રાઇમ’ની તપાસ કરી રહ્યા છે. રેન્ચો કોર્ડોવા વિસ્તારમાં આર્મસ્ટ્રોંગ એવન્યુ પર BAPS સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જે સેક્રામેન્ટો માથેર એરપોર્ટની ઉત્તરે સ્થિત છે. મંદિરની બહાર બોર્ડ પર ‘હિન્દુ ગો બેક’ લખેલું હતું.

 

પાણીની લાઈન પણ કાપી નાખવામાં આવી

પાર્કિંગની સામેના સાઈન બોર્ડ પર ભારત સરકારનો ઉલ્લેખ કરતી કોમેન્ટ લખવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોએ મંદિર સાથે જોડાયેલી પાણીની લાઇન પણ કાપી નાખી. આ હુમલા એવા સમયે થઈ રહ્યા છે જ્યારે પીએમ મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા. અમેરિકા અને કેનેડામાં હિન્દુ મંદિરો પર આ પ્રકારના હુમલા આ પહેલા ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવ્યા છે.

‘ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી’

 

યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં CA 06 અને સેક્રામેન્ટો કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતા અમી બેરાએ X પર કહ્યું કે, ‘સેક્રામેન્ટો કાઉન્ટીમાં ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી. હું અમારા સમુદાયમાં બર્બરતાના આ નિર્લજ્જ કૃત્યની સખત નિંદા કરું છું. આપણે બધાએ અસહિષ્ણુતા સામે ઊભા રહેવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા સમુદાયમાં દરેક વ્યક્તિ, ધર્મને ધ્યાનમાં લીધા વિના, સુરક્ષિત અને સન્માનિત અનુભવે.’

હિન્દુઓને ઘરે જવા માટે કહ્યું

માનવીય ગૌરવ, પરસ્પર આદર અને બહુલવાદને પ્રોત્સાહન દેનાર હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને હિન્દુ મંદિરને નિશાન બનાવતા અપ્રિય ગુનાનો મુદ્દો ઉઠાવવા બદલ બેરીનો આભાર માન્યો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ટ્વિટર પર કહ્યું કે, ‘આભાર બેરા. આ તોડફોડ એ હિન્દુ વિરોધી નફરતનો ગુનો છે, જે હિન્દુ મંદિરને નિશાન બનાવીને હિન્દુઓને ભારત સરકાર સાથે સાંકળતો સંદેશ મોકલે છે અને હિન્દુઓને ઘરે જવાનું કહે છે.’

અગાઉ આ ઘટના 17 સપ્ટેમ્બરે બની હતી

આ પહેલા આ વર્ષે 17 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના બની હતી. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે પણ BAPS સ્વામિનારાયણ મંદિરની તોડફોડની નિંદા કરી હતી અને તેને અસ્વીકાર્ય ગણાવી હતી. ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરના અનાદરની નિંદા કરી હતી અને સત્તાવાળાઓ પાસેથી જવાબદારીની માગણી કરી હતી.

કોંગ્રેસ(અમેરિકી સંસદ) નેતાઓએ પણ દેશમાં નફરત અને હિંસાની વારંવારની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રી થાનેદારે આ ધિક્કારપાત્ર કૃત્યની સખત નિંદા કરી અને ભાર મૂક્યો કે ‘તોડફોડ, કટ્ટરતા અને નફરત’ના આવા કૃત્યોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

આ પણ જૂઓ: ભારત પાડોશી દેશોના રાજકીય પગલાંને નિયંત્રિત કરવા માંગતું નથી: ડૉ.જયશંકર

Back to top button