ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

આગામી 22-23 જુલાઈ દ.ગુજરાત સહિત આટલાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Text To Speech

આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ SEOC, ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટરઓ અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે.

મંત્રીએ જણાવ્યું કે, આગામી તા.22 અને 23 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 23 અને 24 જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા 24-25 જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી ત્રિવેદીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 56 ટકા જળરાશીનો સંગ્રહ થયો છે જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Gujarat Rain 01

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ વરસાદના કારણે આશ્રય સ્થાનોમાં આશરો લઇ રહેલા તમામ નાગરીકો હાલની સ્થિતિએ સલામત રીતે પોતાના સ્વગૃહે પરત ફર્યા છે. રાજ્યમાં 74,232 નાગરિકોને કેશડોલ્સ ચુકવવામાં આવી છે, જ્યારે સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે. અત્યાર સુધીમાં NDRF, SDRF અને વહીવટી તંત્રના સહયોગથી 1566 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્થાપેલી ઉત્તમ વીજળી વ્યવસ્થાના પરિણામે વરસાદની સ્થિતિમાં પણ તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ છે.

આ પણ વાંચો :  બનાસકાંઠા : ભારે વરસાદની આગાહીના પગલે હેડ કવાર્ટર ન છોડવા આદેશ

તેમણે કહ્યું હતું કે, હાલ કચ્છ, ડાંગ,વલસાડ અને પંચમહાલમાં 1-1 નેશનલ હાઈવે પર અગવડના કારણે વાહન વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 14,641 પૈકી માત્ર 55 નાના રૂટ પર બસ વ્યવહાર બંધ છે તેમ મંત્રીએ વિગતો આપતા ઉમેર્યું હતું.

Back to top button