ગુજરાત

રાજ્યમાં ગરમીનો પારો 2-3 ડિગ્રી ઘટશે, પણ અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ યથાવત; 23-24 મે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે

Text To Speech

રાજ્યમાં એક તરફ ચોમાસું વહેલું આવશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. તો હવે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વધુ એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 23 અને 24 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોનું તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે.

ગરમીથી આંશિક રાહત મળી શકે છે
હવામાન વિભાગના અમદાવાદ વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ‘ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની હાલ કોઈ શક્યતા નથી. આગામી 24 કલાક સુધી હાલનું તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે.’

દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે
તેમને વધુમાં જણાવ્યું કે, ‘પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.’

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત
અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. જેને લઈને અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસપાસ જોવા મળ્યું છે, આ વચ્ચે આજે પણ શહેરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શુક્રવારે રાજ્યના 8 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. અમદાવાદમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતુ. અમદાવાદમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Back to top button