ટ્રેન્ડિંગનેશનલ

લૂના કારણે 100 લોકોના મોત: આરોગ્ય મંત્રીએ બેઠક બોલાવીને લીધો મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી: દેશભરમાં ઘણા વિસ્તારોમાં આકરી ગરમીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કારણે 100થી વધારે લોકોના મોત થયાના રિપોર્ટ સામે આવ્યા છે અને ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ અંગે દિલ્હીમાં બેઠક બોલાવી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી માંડવિયા દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં તમામ મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠક અંગે જે માહિતી બહાર આવી છે તે મુજબ, નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી.કે. પૉલ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહેલ અને ભારતીય હવામાન વિભાગ (IMD)ના અધિકારીઓ અને અન્ય નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા.

આરોગ્ય મંત્રીએ આપી માહિતી

ઉચ્ચસ્તરીય બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે, “હાલમાં ઘણા રાજ્યોમાંથી હીટ વેવ અને હીટ સ્ટ્રોકના સમાચાર આવી રહ્યા છે. આ માટે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે. જે રાજ્યમાં હિટ વેવ ચાલી રહ્યું છે, તે રાજ્યને સહયોગ કરવા માટે ભારત સરકાર તરફથી IMD, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ ભારત સરકાર વતી જશે.

આ પણ વાંચો- ચીનના મોરચે મોટું પગલું; ભારત વિયેતનામને મિસાઇલ યુદ્ધ જહાજ આપશે ભેટ, જાણો કેમ છે આ ડીલ મહત્વપૂર્ણ

લૂના કારણે અનેક લોકોના મોત

આકરી ગરમીના કારણે દેશભરમાં અનેક લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો પેટ અને માથાના દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા સહિત દેશના ઘણા વિસ્તારોમાંથી ‘લૂ’ના કારણે લોકોના મોતના સમાચાર છે.

રિપોર્ટ અનુસાર, ગરમીના કારણે અત્યાર સુધીમાં લગભગ 100 લોકોના મોત થયા છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ મૃત્યુ હીટ સ્ટ્રોકના કારણે થયા નથી. બિહારમાં ગરમીના કારણે સૌથી વધુ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિહારમાં ગરમીના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે.

હીટ વેવના કારણે મોતના સમાચાર સામે આવ્યા બાદ હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જારી કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓને પરિસ્થિતિ પર ખાસ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે લોકોને જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીના કારણે ઘણી જગ્યાએ શાળાઓની રજાઓ પણ લંબાવવામાં આવી છે.

આ પણ વાંચો- અમેરિકન છાપાએ પીએમ મોદીનું લીધું ઈન્ટરવ્યૂ; રશિયા-ચીન સહિત ધાર્મિક સહિષ્ણુતા પર આપ્યા જવાબ

Back to top button