ગુજરાતના આરોગ્યકર્મીઓનું આંદોલન આજે પણ યથાવત્, 1000થી વધુની અટકાયત


- પડતર માંગો ન સંતોષાતા આરોગ્યકર્મીઓમાં રોષ
- 1000થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી
- આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં: મંત્રી ઋષિકેશ પટેલ
ગુજરાતના આરોગ્યકર્મીઓનું આંદોલન આજે પણ યથાવત્ છે. પોલીસે ગાંધીનગરની કિલ્લાબંધી કરી આરોગ્યકર્મીઓને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો અને 1000થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે.
પડતર માંગો ન સંતોષાતા આરોગ્યકર્મીઓમાં રોષ
ગુરુવારે સાંજે 7:30 વાગે આંદોલનકારીઓએ મીણબત્તી વડે પ્રકાશ ફેલાવી બળવો પોકાર્યો હતો. આરોગ્યકર્મીઓ પોતાની માગ પર અડગ છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ‘જ્યાં સુધી ઠરાવ નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. પડતર માંગો ન સંતોષાતા આરોગ્યકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી
આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આ ચીમકીમાં તેમણે ઘણી બધી વાતો કરી, પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ‘આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.’ તેમનો બીજો મુદ્દો એ છે કે, ‘આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે’.