ગુજરાતટોપ ન્યૂઝયુટિલીટી

જંત્રી એટલે શું અને કેવી રીતે તેના ભાવ નક્કી થાય છે ? જાણો સમગ્ર પ્રક્રિયા

ગુજરાત સરકાર દ્વારા 12 વર્ષ પછી જંત્રી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે તમારા મનમાં એક સવાલ ચોક્કસથી થતો હશે કે આ જંત્રી એટલે શું ? આવો તેને સમજવાની કોશિશ કરીએ. જો સાદી રીતે જોવામાં આવે તો સરકારે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેનો એક ચોક્કસ ભાવ નક્કી કર્યો હોય છે જેને જંત્રી દર તરીકે ગણવામાં આવે છે.

જંત્રી એટલે શું અને કોણ નક્કી કરે છે ?

સરકારી જંત્રી એટલે, કોઈ પણ પ્રોપર્ટીનું ખરીદ કે વેચાણ માટે સરકાર દ્વારા જે લઘુતમ ભાવ નક્કી કરવામાં આવે છે, જેના દ્વારા તમારા વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો તેને સરકારી ચોપડે તેની મિલકતના માલિકની નોંધણી કરવામાં આવે છે. જેને કાયદાકીય રીતે પુરવા તરીકે માન્ય ગણવામાં આવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. ગુજરાતમાં જેને જંત્રી કહેવામાં આવે છે તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : જંત્રીના દર વધારાથી ક્યાંક ખુશી ક્યાંક ગમ !, શું થશે તમને અસર ?

જ્યારે આ નક્કી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.

ગુજરાત જંત્રી Hum Dekhenege News

શું મહત્વ છે જંત્રીનું ?

જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. બેન્કમાંથી લોન લેવા માટે, લોન ક્રેડિટનો સમયગાળો વધારવા માટે, કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવા માટે, ઇનકમ ટેક્સ ફાઈલ કરવા માટે, વિઝા મેળવવા માટે, આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઈલિંગ માટે તેનો ઉપયોગ થાય છે. તો હવે એક વાત નક્કી છે, જો તમે કોઇ પ્રોપર્ટી ખરીદી રહ્યા હો તો તમારે દસ્તાવેજ કેટલાનો કરવો પડશે તેની આગોતરી માહિતી મેળવવી જરૂરી છે.

જંત્રીના ભાવ માટે કયો નિયમ લાગુ પડે છે ?

ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે. ગુજરાતમાં 2006માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ 2008માં થયો હતો. 2011માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે. જેને હાલમાં પણ સર્વેના આધારે જ નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં જંત્રીનો દર બમણો કરવાનો નિર્ણય : સોમવારથી થશે અમલ

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ

જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.

ક્યાંથી જાણવા મળે જંત્રીનો રેટ

જંત્રીનો દર તમે ઓનલાઈન જાણી શકો છો. તમે ગરવી ગુજરાત કે મહેસૂલ વિભાગની વેબસાઈટ પર જશો, એટલે તમારે જે-તે શહેર, ગામ અને વિસ્તારની વિગતો નાખવાની રહેશે. આ વિગતો આપ્યા બાદ તમને જંત્રીનો રેટ જાણવા મળશે. તમને રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, બિન-પીયત, ખેતી-પીયત, બિનખેતીનો અને ખેતીલાયક વિસ્તારનો રેટ જાણવા મળશે. આ રેટ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હોય છે.

Back to top button