ગુજરાત : ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો યોજાશે જેમાં અનેક રસ્તાઓ વાહનો માટે બંધ


- શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
- 16 માર્ચથી 26 માર્ચ સુધીનો એક સાઈડનો રોડ બંધ રહેશે
- જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલનો એક તરફના રોડ પર બંધ
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી દિવસોમાં ફાગણસુદ પુનમનો મેળો યોજાનાર છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ડાકોર દર્શનાર્થે જતા હોય છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ફાગણસુદ પુનમના મેળામાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ આવતા હોય છે. જેમાં અમદાવાદના જશોદાનગરથી હાથીજણ રીંગરોડ લાલગેબી સર્કલથી હાથીજણ-મહેમદાવાદ મુખ્ય નેશનલ હાઈવે પરથી શ્રદ્ધાળુઓ પગપાળા કરીને ડાકોર જતા હોય છે. પગપાળા ડાકોર જતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
16 માર્ચથી 26 માર્ચ સુધીનો એક સાઈડનો રોડ બંધ રહેશે
જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા તરફના એક તરફના રોડ પર અવર-જવર બંધ છે, જ્યારે બીજી સાઈડ પરથી અવર-જવર કરી શકશે. તેમજ, વિંઝોલથી જશોદ નગર તરફ જતાં વાહનો રિંગરોડ પરથી ડાયવર્ટ થઈ શકશે. જેમાં વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવે અને નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકશે. જેમાં 16 માર્ચથી 26 માર્ચ સુધીનો એક સાઈડનો રોડ બંધ રહેશે. આ રોડ પર ડાકોર જતા પદયાત્રીઓના જીવન જરૂરી વસ્તુ લઈ જવા માટે વાહનો, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનોને જાહેરનામામાં છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું