ગુજરાત

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળી આ મોટી જવાબદારી, રાજ્યના ગૌરવમાં થયો વધારો

Text To Speech

કોઈપણ રાજ્યના વિકાસમાં વિધાનસભા ગૃહમાં થતી ચર્ચાઓ મહત્વની હોય છે. જે અંતર્ગત સંસદીય કાર્યપ્રણાલી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બનાવવાના હેતુસર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની કોન્ફરન્સ જયપુર ખાતે યોજવામાં આવી છે. લોકસભાના અધ્યક્ષ દ્વારા કોન્ફરન્સના સંચાલન અને આયોજન માટે સ્ટેન્ડિંગ કમિટી ફોર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની રચના કરવામાં આવેલી છે. જે કમિટીના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓને મળેલી આ નવી જવાબદારીને કારણે રાજ્યના ગૌરવમાં વધારો થયો છે.

સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ વર્ષમાં ચાર વખત યોજાઈ

દેશની વિધાનસભાના તમામ અધ્યક્ષોની દર બે વર્ષે કોન્ફરન્સ યોજાય છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ વર્ષમાં ચાર વખત યોજવામાં આવે છે. આ કમિટીમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અધ્યક્ષ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ છે. દેશની અલગ અલગ વિધાનસભાના અધ્યક્ષો પૈકી આઠ અધ્યક્ષોની કમિટીમાં સભ્ય તરીકે વરણી કરવામાં આવે છે. આ કમિટીમાં સભ્ય તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજસ્થાનના અધ્યક્ષ સી.પી.જોષી, મેઘાલયના અધ્યક્ષ મેતબાહ લાયાન્દોહ, ઝારખંડના અધ્યક્ષ રાજેન્દ્રનાથ મહતો, મધ્યપ્રદેશના અધ્યક્ષ ગિરીશ ગૌતમ, તમિલનાડુના અધ્યક્ષ એમ. અપ્પાવુ, આસામના અધ્યક્ષ બીશ્વજીત દૈમાયા છે.

આગામી મંગળવારથી યોજાશે મિટિંગ

ઉલ્લેખનીય છે કે આ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ 10 જાન્યુઆરીના રોજ જયપુર ખાતે યોજાશે. ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની કમિટીની મિટિંગ બાદ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી લોકસભા અધ્યક્ષ – ઉપાધ્યક્ષ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ તેમજ દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ રાજસ્થાનના જયપુર ખાતે યોજાશે.

Back to top button