ગુજરાત: ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાના નિર્ણયથી જાણો કેટલા વીજગ્રાહકોને મળી રાહત


- વર્ષ 2024-25 દરમિયાન બે વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો
- રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા 15,400 મેગાવોટથી વધીને 32,924 મેગાવોટ કરવામાં આવી
- વર્ષ-2024માં વીજગ્રાહકોને કુલ રૂ. 2004 કરોડની સરેરાશ રાહત આપવામાં આવી
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વર્ષ-2024 દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વીજગ્રાહકોને કુલ સરેરાશ રૂ. 2004 કરોડની રાહત આપવામાં આવી છે.
રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા 15,400 મેગાવોટથી વધીને 32,924 મેગાવોટ કરવામાં આવી
ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યૂઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે. ગુજરાત સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં ટોચ પર છે. છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની કુલ રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા 15,400 મેગાવોટથી વધીને 32,924 મેગાવોટ કરવામાં આવી છે.
વર્ષ-2024માં વીજગ્રાહકોને કુલ રૂ. 2004 કરોડની સરેરાશ રાહત આપવામાં આવી
કનુભાઇ દેસાઈએ કહ્યું કે ‘દેશમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે રિન્યૂએબલ એનર્જી સ્રોતો મારફત 500 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે. જેમાં ગુજરાતનું પણ 100 ગીગાવોટ રિન્યૂએબલ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.’ વર્ષ 2024-25 દરમિયાન બે વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તા. 1 જાન્યુઆરી, 2024ની અસરથી યુનિટદીઠ 50 પૈસા, જ્યારે તા. 1 ઑક્ટોબર, 2024થી 40 પૈસા એમ બે વખત ઘટાડો કરવામાં આવતાં વર્ષ-2024માં વીજગ્રાહકોને કુલ રૂ. 2004 કરોડની સરેરાશ રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય, ત્યાં સુધી રાજ્યના 1 કરોડ 50 લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ, 1.4 કરોડ કોલને મળ્યો પ્રતિસાદ