અમદાવાદગુજરાત

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી

અમદાવાદ, 15 ડિસેમ્બર 2023, ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આજની સુનાવણીમાં તથ્યના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે,રાત્રે સાડા બાર વાગ્યે રોડ પર ટ્રાફિક હશે એવું માની ના શકાય આ સંપૂર્ણ બેદરકારીનો કેસ છે પણ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ નથી. જ્યારે સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે, આરોપી તથ્યના મિત્રોના નિવેદનને જોતાં તેને અકસ્માત થવાની શક્યતાનું જ્ઞાન હતું. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે બે કલાક સુધી ચાલેલી દલીલો સાંભળીને આખરે જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે.

બંને પક્ષો વચ્ચે કોર્ટમાં બે કલાક સુધી દલીલો ચાલી
કોર્ટમાં તથ્ય પટેલના વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે, તથ્ય ઘટના સ્થળેથી ભાગ્યો નથી પણ લોકોએ તેને માર્યો હતો. તેના પિતા પ્રજ્ઞેશ પટેલે અકસ્માત બાદ પોલીસને ફોન કર્યો હતો. આ હીટ એન્ડ રનનો કેસ નથઈ. અકસ્માત બાદ તથ્ય જેલમાં છે તો શું હવે તેને જામીન મળવા જોઈએ એ બાબત કોર્ટ ધ્યાનમાં લે તેમજ તેની ઉંમર અને તેનું બેકગ્રાઉન્ડ પણ ધ્યાનમાં લેવુ જોઈએ.તથ્યના વકીલે વલસાડમાં ડ્રાઈવરની બેદરકારીથી વિદ્યાર્થીના થયેલા મોતનો કેસ ટાંક્યો હતો, જેમાં બસના ટાયર પાસેના પતરા સડી ગયા હતા, જેને રિપેર ન કરાયા અને એક જાડું કપડું લગાવ્યું હતું, જ્યાંથી વિદ્યાર્થી પડી જઈને બસના ટાયર નીચે આવી જતા મોત થયું હતું. આ કેસમાં ડ્રાઈવર, ક્લીનર, સુપર વાઈઝર અને ટ્રસ્ટીને આરોપી બનાવ્યા હતા. આમાં હેતુ નહીં પણ જ્ઞાન હતું, આ બેદરકારી હતી.

આરોપી તથ્ય પટેલ પર 304ની કલમ લાગી છે
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ પર 304ની કલમ લાગી છે. જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે. તથ્ય પટેલના વકીલે ગઈકાલે હાઈકોર્ટમાં ઘટના બનવા અંગે નોલેજ મુદ્દે દલીલ કરી હતી. જ્યારે સરકારી વકીલે તથ્યએ અગાઉ કરેલા બે અકસ્માત ટાંકીને સામી દલીલ કરી હતી. પરંતુ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની ચાર્જશીટ અલગ હોવાથી અન્ય બનાવને આ અકસ્માત કેસ સાથે ગણી શકાય નહીં તેવી તથ્યના વકીલની દલીલ હતી. આજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની ડિસ્ચાર્જ અરજી અને તથ્યની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે.

આ પણ વાંચોઃઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ સામે 19 ડિસેમ્બરે ચાર્જફ્રેમ થશે

 

Back to top button