ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યના હજારો વિદ્યાર્થીનું શિક્ષક વિના ચાલતું શિક્ષણકાર્ય

  • રાજ્યની શાળાઓમાં ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે
  • શાળાઓને જિલ્લાના અધિકારીઓ મારફતે તાત્કાલિક અસરથી શિક્ષક ભરવાની છૂટ આપવી જોઈએ
  • છતાં કાયમી શિક્ષકો તો દૂરની વાત હજુ સુધી કરાર આધારિત શિક્ષકોની પણ ફાળવણી કરાઈ નથી

ગુજરાત રાજ્યની અનેક શાળાઓના હજારો વિદ્યાર્થીઓનું છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષણકાર્ય શિક્ષક વિના જ ચાલી રહ્યું હોવાના આક્ષેપો થયાં છે. હાલની સ્થિતિ જોતા રાજ્યના શિક્ષણ વિભાગે હાઈસ્કૂલોમાં અંદાજે 6,132 ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયકની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરી છે. એનો મતલબ એ થયો કે, આ જગ્યાઓમાં તો અત્યારે એક પણ શિક્ષક કામ કરતો નથી. તેમ છતાં કાયમી શિક્ષકો તો દૂરની વાત હજુ સુધી કરાર આધારિત શિક્ષકોની પણ ફાળવણી કરાઈ નથી.

રાજ્યની શાળાઓમાં ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે

એક તરફ શિક્ષણ વિભાગ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણકાર્ય માટેના દિવસો અને કલાકોની ગણતરી સાથેનું આખુએ કેલેન્ડર જાહેર કરે છે ત્યારે જે બાળકોને ભણાવવા માટે ત્રણ મહિનાથી શિક્ષકો જ ફાળવાયા નથી તેમના ભવિષ્ય સાથે રીતસરના ચેડાં નથી તો બીજુ શું છે ? તેવા સવાલો ઊઠયા છે. શાળાઓની કચેરીના નિયામકની ઘોર આળસ-બેદરકારીના લીધે સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોનુ શિક્ષણ ખાડે ગયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રાજ્યની શાળાઓમાં ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. શિક્ષણ વિભાગના આયોજન મુજબ, પ્રથમ સત્રમાં શિક્ષણકાર્ય માટે 109 દિવસની ફાળવણી કરવામાં આવી છે. શૈક્ષણિક આયોજનના દિવસોને જોતા પ્રથમ સત્રનાં 72 દિવસ પૂરા થઈ જતાં હવે આ સત્રનાં અભ્યાસ માટેના માત્ર 37 દિવસ બાકી રહ્યાં છે. એટલે કે, પ્રથમ સત્રના શિક્ષણકાર્યનાં 66 ટકા સમય વિતી ગયો હોવા છતાં હાઈસ્કૂલોમાં જ્ઞાન સહાયકની ફાળવણી કરાઈ નથી. આમ સમયસર શિક્ષકોની ફાળવણી ન કરાતાં રાજ્યના હજારો ગરીબ અને મધ્યમવર્ગના બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. જે પરિવારો સુખી અને સંપન્ન છે તેઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવે છે અને એ સ્કૂલોમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ હોય છે.

શાળાઓને જિલ્લાના અધિકારીઓ મારફતે તાત્કાલિક અસરથી શિક્ષક ભરવાની છૂટ આપવી જોઈએ

પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના બાળકો મોટાભાગે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતાં હોય છે અને ત્યાં શિક્ષકો પુરા પાડવાની ફરજ ગણો કે સંપૂર્ણ જવાબદારી એ સરકારની છે. જ્યાં સરકારની જવાબદારી બને છે ત્યાં જ શિક્ષકોની ફાળવણી ન કરાતાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. કાયમી શિક્ષકની ભરતીમાં સરકાર વિલંબ કરે એ તો ઠીક છે પરંતુ કરાર આધારીત શિક્ષકની ભરતી તો સત્ર શરૂ થાય એ જ દિવસે આપી દેવો જોઈએ. જે શાળાઓમાં જ્ઞાન સહાયક મળે નહી એવી શાળાઓને જિલ્લાના અધિકારીઓ મારફતે તાત્કાલિક અસરથી શિક્ષક ભરવાની છૂટ આપવી જોઈએ.

Back to top button