ગુજરાત: વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો,ભાવ આસમાને પહોંચ્યા


- કોથમીર, આદુ અને ટામેટાંના ભાવે તો રૂપિયા 100ને પાર
- વરસાદને કારણે શાકભાજીને પણ વ્યાપક નુકસાન
- બટાકા પણ કિલોના રૂ.50ના ભાવે વેચાઇ રહ્યાં છે
ગુજરાતમાં વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. તેથી બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમજ ભારે વરસાદને કારણે આ વખતે ખેતી તથા શાકભાજીને વ્યાપક નુકસાન ગયુ છે. સતત વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો છે.
કોથમીર, આદુ અને ટામેટાંના ભાવે તો રૂપિયા 100ને પાર
સ્થાનિક બાજરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં કોથમીર, આદુ અને ટામેટાંના ભાવે તો રૂપિયા 100ને પાર થયા છે. ગુજરાતમાં ઘણાં એવા જિલ્લા છે જ્યાં 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે. હજુય અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે પરિણામે ચોમાસુ પાક ખરાબ થયો છે. ખેડૂતોના મોમાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. ખેતીના સાથે સાથે શાકભાજીને પણ મોટું નુકસાન પહોચ્યું છે.
બટાકા પણ કિલોના રૂ.50ના ભાવે વેચાઇ રહ્યાં છે
વરસાદને લીધે ગુજરાતમાંથી જ નહીં, અન્ય રાજ્યમાંથી આવતાં શાકભાજી પણ ઘટ્યા છે. શાકભાજીના વધતા ભાવોએ રસોડાનું બજેટ ખોરવ્યું છે. આ કારણોસર હોટલ-રેસ્ટોરન્ટમાં અસર જોવા મળી રહી છે. વરસાદી પાણીને કારણે ખેતરોમાં શાકભાજી કોહવાઈ જાય તેવો ભય ઉભો થયો છે ત્યારે બજારમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં ટામેટાંનો કોઇ લેવાલ ન હતો ત્યારે હવે ટામેટાં પણ કિલોના રૂ.100-120 ના ભાવે વેચાઇ રહ્યાં છે. કોથમીર પણ છુટક બજારમાં 100 રૂપિયે વેચાઇ રહ્યુ છે. ડુંગળીના પણ કિલોના ભાવ રૂ.70 સુધી પહોંચ્યા છે. તથા આદુનો એક કિલોનો ભાવ રૂ.140 થયો છે. બટાકા પણ કિલોના રૂ.50ના ભાવે વેચાઇ રહ્યાં છે.