

વિધાનસભામાં પસાર થયેલું રખડતાં ઢોર નિયંત્રણ બિલને આખરે તમામ અટકળો પર અંત આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ‘રખડતા ઢોર નિયંત્રણ બિલ’ પરત ખેંચાયું છે. અધ્યક્ષે બિલ પરત ખેંચવા માટે અનુમતિ આપી દીધી છે.
છેલ્લા કેટલાય સમયથી પશુપાલકો ‘રખડતા ઢોર નિયંત્રણ કાયદો’ પરત લેવાની માગ કરી રહ્યાં હતા. જેના પર આખરે આજે વિધાનસભામાં અંત આવ્યો છે. રાજ્યપાલ તરફથી આ બિલ પુન:વિચારણા માટે પાછું મોકલવામાં આવ્યુ હતુ. જે બાદ આજે વિધાનસભા ગૃહમાંથી આ બિલને પાછું ખેંચવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આજ સવારથી જ માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ બંધ કરીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : વિધાનસભામાં સત્ર શરૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો, 10 થી વધુ સભ્યો સસ્પેન્ડ
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આજે કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યુ કે, ‘કોંગ્રેસને આજે અમે અવારનવાર જણાવ્યુ કે, ગૃહની કામગીરીમાં ભાગ લો, ચર્ચા કરો. પરંતુ કોંગ્રેસની નકારાત્મક માનસિકતા છે. ગુજરાતની જનતા તેમને જાણી ગઇ છે. કોંગ્રેસનું પ્રજા વિરોધી માનસ છતુ થયુ છે. કેટલાક લોકોને ચૂંટણી આવે ત્યારે પ્રશ્નો યાદ આવે છે એમા કોંગ્રેસ પહેલા નંબરે છે. અમે સંવાદમાં માનીએ છીએ. બધાને અનુલક્ષીને ગુજરાત સરકારે નિર્ણયો લીધા છે.’
તેમણે આ અંગે પણ જણાવ્યું કે, બિલ પાસ થયુ તે દિવસથી જ મુખ્યમંત્રી આ અંગે ઘણાં સંવેદનશીલ હતા. તેઓ માલધારી સમાજ અંગે વિચારી રહ્યા હતા. આજે આ બિલને ગૃહમાંથી પરત ખેંચવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : રાજકોટ-સુરતમાં માલધારીઓનો અનોખો વિરોધ, હજારો લીટર દૂધ તાપીમાં પધરાવી દીધું; તો રાજકોટમાં દૂધ રસ્તા પર ઢોળી દીધું