ગુજરાતટ્રાવેલધર્મનેશનલમહાકુંભ 2025

મહાકુંભ ૨૦૨૫માં ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’નું ભવ્ય સ્વાગત

પ્રયાગરાજ, 8 ફેબ્રુઆરી : ભારતની શાશ્વત સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો સૌથી મોટો સંગમ, મહાકુંભ, ફક્ત શ્રદ્ધાળુઓ-ભક્તો માટે જ નહીં પરંતુ સંતો, મહાપુરુષો અને ધાર્મિક મનીષિઓ માટે પણ એક દિવ્ય પ્રસંગ છે. વર્ષ ૨૦૨૫ના મહાકુંભમાં આ પાવન અવસરે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજની પ્રેરણાથી રચાયેલ, પરબ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શન પર આધારિત ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી દ્વારા રચાયેલ આ ભાષ્ય, ભારતીય દર્શન, વેદાંત અને ઉપનિષદોના ગહન રહસ્યોને સમજાવતો એક વિરલ ગ્રંથ છે. મહાકુંભના આ ભવ્ય સંગમમાં, ભારતના પ્રખ્યાત સન્યસ્ત આશ્રમો, પીઠો અને અખાડાઓના પૂજ્ય સંતોએ ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’ના આ અનોખા યોગદાનને સહર્ષ સ્વીકારી તેને વેદાંત પરંપરાની શ્રેષ્ઠ કૃતિ તરીકે બિરદાવ્યું હતું. આ પ્રસંગે, વિવિધ અખાડાઓના અગ્રણી આચાર્યો અને મહામંડલેશ્વરોએ આ પુસ્તકને સનાતન ધર્મની સમૃદ્ધ પરંપરામાં એક અમૂલ્ય ઉપહાર સમાન ગણાવ્યું હતું.

મહાકુંભની આ દિવ્ય ક્ષણોમાં જુના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગિરિજી મહારાજે ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’ ને ખાસ આશીર્વાદ આપ્યા હતા તેમજ ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત, નિર્વાણ પીઠાધીશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ, નિરંજન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદજી મહારાજ, આનંદ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી બાલકાનંદજી મહારાજ અને પરમાર્થ સાધક સેવા સંઘના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી પ્રણવ ચૈતન્યપુરીજી મહારાજે પણ આ પુસ્તકની પ્રશંસા કરી અને તેને સંત સમુદાય અને સાધકો માટે મૂલ્યવાન માર્ગદર્શક ગણાવ્યું હતું.

પૂજ્ય સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજે પણ આ  ભાષ્યને આશીર્વાદ આપ્યા હતા. સમકાલીન સમયમાં પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ દ્વારા પ્રસારિત આ સિદ્ધાંત ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર સનાતન ધર્મના સાધકો માટે ઉપયોગી છે. આ પુસ્તક ભારતીય દર્શનની અદ્યતન પરંપરાઓને વૈજ્ઞાનિક અને તર્કસંગત દ્રષ્ટિકોણથી રજૂ કરે છે, જે પ્રત્યેક જિજ્ઞાસુ માટે લાભદાયક સાબિત થશે.

મહાકુંભમાં આવેલા તમામ પૂજ્ય સંતો, મહંતો અને મહામંડલેશ્વરોએ આ પુસ્તકના પ્રકાશનને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે આ ભાષ્યને આધ્યાત્મિક સાધકો માટે વેદાંત અને ઉપનિષદોના ગહન જ્ઞાનને સરળતાથી સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ તરીકે વર્ણવ્યો હતો. ભાષ્યના સ્વાગતની સાથે વેદાંત, સ્વામિનારાયણ દર્શન અને સનાતન ધર્મના ગહન રહસ્યો વિષયક વિમર્શ પણ કરવામાં આવ્યો હતો.

સંત સમુદાયે તેને ભારતીય શાસ્ત્રોની સમૃદ્ધિમાં એક નવું પરિમાણ ઉમેરતો ગ્રંથ ગણાવ્યો હતો અને તેનો વ્યાપકપણે પ્રસાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મહાકુંભ 2025 માં ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’ નું સ્વાગત એક ઐતિહાસિક ઘટના છે, જ્યાં શાસ્ત્રો, સંતો અને સનાતન સંસ્કૃતિના આ મહાસંગમમાં જ્ઞાનના પ્રકાશપુંજ સમા આ ભાષ્યને સમગ્ર સંતસમાજ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

Back to top button