એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝનેશનલ

NEET-UG પરીક્ષા પ્રકરણમાં ગોધરાની જલારામ શાળાના માલિકની ધરપકડ

Text To Speech
  • CBI ની ટીમે દિક્ષિત પટેલને તેના ઘરેથી ઝડપી લીધો
  • દિક્ષિતને કાલે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે

ગાંધીનગર, 30 જૂન : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ NEET-UG પરીક્ષામાં ગેરરીતિના સંદર્ભમાં ગોધરામાં એક ખાનગી શાળાના માલિક દિક્ષિત પટેલની ધરપકડ કરી છે. દિક્ષિત પટેલ પર NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તે NEET પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના સંપર્કમાં હોવાની શંકા છે. આ શંકાના આધારે સીબીઆઈએ દિક્ષિત પટેલ સામે આ કાર્યવાહી કરી છે.

દિક્ષિત પટેલની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી

દિક્ષિત પટેલ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલી જય જલારામ સ્કૂલના માલિક છે. આ શાળામાં NEET-UG પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિક્ષિત પટેલની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. સરકારી વકીલ રાકેશ ઠાકોરનું કહેવું છે કે સીબીઆઈ દિક્ષિત પટેલને રિમાન્ડ પર લેવા માટે અમદાવાદ લઈ ગઈ છે. રાકેશ ઠાકોરે કહ્યું, રાજ્ય સરકારે આ કેસની તપાસ CBIને સોંપી છે. દિક્ષિત પટેલને અમદાવાદ કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવશે.

પૈસા લઈને NEET પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ

અગાઉ 27 જૂને CBIએ NEET-UG પરીક્ષામાં ગેરરીતિના મામલામાં દિક્ષિત પટેલની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ કેટલાક વિદ્યાર્થીઓના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા હતા. આ કેસમાં જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ અને એક શિક્ષકની ધરપકડ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે NEETમાં ગેરરીતિઓ માટે ગુજરાતમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને NEET પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું.

પરીક્ષા કેન્દ્ર પણ જય જલારામ શાળામાં હતું

NEET-UG પરીક્ષા 5 મેના રોજ દેશભરમાં લેવામાં આવી હતી. જય જલારામ શાળામાં પરીક્ષા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું હતું. દિક્ષિત પટેલ પર પરીક્ષા પાસ કરવામાં મદદ કરવા માટે ઉમેદવારો પાસેથી 10 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે. NEET-UG પરીક્ષામાં ગેરરીતિના આરોપસર ગુજરાતમાંથી હવે કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Back to top button