ગિરનાર પર્વત પર રોપ-વેની મુસાફરી સસ્તી, ટિકિટના દરમાં GSTના દરમાં થયો ઘટાડો


ગુજરાતની ઓળખસમા ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો માટે એક સારા સમાચાર છે. ગિરનાર રોપ-વેની મુસાફરીની ટીકીટમાં 18% GSTની જગ્યાએ હવે 5% GST લાગશે. ગિરનાર રોપ વેની મુસાફરીમાં 13% GSTનો ઘટાડો થતા રોપ-વેની મુસાફરી સસ્તી થશે.
તાજેતરમાં જ સરકારે GSTના દરોમાં ફેરફાર કર્યો છે. નવા ફેરફારો 18 જુલાઈથી અમલમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગીરનાર રોપ-વે ટિકિટ પર અત્યાર સુધી 18 ટકા GST લાગતો હતો, પરંતુ યાત્રિકોને કોઈ બોજ ના પડે તેના માટે માત્ર પાંચ ટકા GST લગાડવાનો નિર્ણય કરાયો છે. એટલે કે એક ટિકિટ પર મુસાફરોને 12 ટકાનો સીધો ફાયદો મળશે.
હવે કેટલો ચાર્જ લાગશે?
ગિરનાર પર્વત પર રોપ-વેની ટિકિટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 18ની જગ્યાએ 5% GSTના નવા દર અમલમાં આવ્યા બાદ શહેરની બહારના પ્રવાસીઓ માટે રોપ-વે ટિકિટ પહેલા 700 રૂપિયા હતી, જે હવે ઘટાડીને 623 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢના સ્થાનિક લોકો માટે રોપ-વેનો ચાર્જ 590 રૂપિયા હતો, હવે તેનો ચાર્જ વધારીને 523 રૂપિયા કરવામાં આવ્યો છે. તો રોપ-વેની એકવાર જવાની મુસાફરીના 400 રૂપિયાની જગ્યાએ 356 રૂપિયા કરવામાં આવ્યા છે. ગીરનાર રોપ-વેની મુસાફરી સસ્તી થતા યાત્રિકોમાં વધારો થશે અને પર્યટન સ્થળોને વધુ ફાયદો થશે એવું તંત્રને લાગી રહ્યું છે.

ઘરે બેઠા રોપ-વે ટિકિટ બુક કરાવી શકો છો
ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઘરે બેઠા રોપ-વે ટિકિટ બુક કરાવી શકો છે. આ માટે રોપ-વે ઓપરેટિંગ કંપની ઉષા બ્રેકોએ ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. જેથી યાત્રીઓ ઘરે બેસીને પણ પોતાનો ટાઈમ સ્લોટ પસંદ કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ www.udankhatola.com વેબસાઈટ પરથી ગિરનાર રોપવે માટે ટિકિટ બુક કરાવી શકે છે.