રેફ્યુજી કેમ્પ પર ઇઝરાયેલના હુમલામાં 195 લોકો માર્યા ગયાનો ગાઝાનો દાવો


ગાઝા શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના હુમલામાં 195 પેલેસ્ટિનિયન અને 2 હમાસ કમાન્ડર માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કારણે મોટાભાગના વિદેશી નાગરિકો ગુરુવારે ગાઝા પટ્ટી છોડવા માટે સંમત થયા હતા. હમાસે 195 પેલેસ્ટિનિયન માર્યા હોવાનો દાવો કર્યા બાદ યુએનના માનવાધિકાર અધિકારીઓએ ઇઝરાયેલના હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યો છે. ત્યારબાદ, 500ની પ્રારંભિક યાદીમાંથી ઓછામાં ઓછા 320 વિદેશી નાગરિકો, તેમજ ડઝનેક ગંભીર રીતે ઘાયલ ગઝાન્સ, ઇઝરાયેલ, ઇજિપ્ત અને હમાસ વચ્ચેના સોદા હેઠળ બુધવારે ઇજિપ્તમાં પ્રવેશ્યા હતા.
ગાઝા છોડનારા વિદેશીઓમાં મોટાભાગે ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, ફિનલેન્ડ, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, જોર્ડન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સના પાસપોર્ટ ધરાવતા લોકો છે. ગાઝા સરહદ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદ ગુરુવારે ફરી ખુલશે. જેથી વધુ વિદેશીઓ બહાર આવી શકે. રાજદ્વારી સૂત્રએ જણાવ્યું હતું કે લગભગ 7,500 વિદેશી પાસપોર્ટ ધારકો લગભગ બે અઠવાડિયામાં ગાઝા છોડી દેશે.
હમાસના 2 કમાન્ડરોનાં મૃત્યુ
ઇઝરાયેલનું કહેવું છે કે મંગળવારે અને બુધવારે તેના હુમલામાં ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ જબાલિયામાં હમાસના બે લશ્કરી કમાન્ડર માર્યા ગયા હતા. વધુમાં હમાસ જૂથ પાસે નાગરિક ઈમારતોની આસપાસ કમાન્ડ સેન્ટર અને અન્ય આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું હતું, જે જાણી જોઈને ગાઝાના નાગરિકોને જોખમમાં મૂકે શકે છે. ઇઝરાયેલના હુમલામાં તે તમામ નષ્ટ થઈ ગયા છે. ગાઝામાં હમાસ સંચાલિત સરકારી મીડિયા કાર્યાલયે ગુરુવારે જણાવ્યું હતું કે જબાલિયા પર બે ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 195 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા, જ્યારે 120 હજુ પણ કાટમાળ નીચે ગુમ છે. તેમજ ઓછામાં ઓછા 777 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ: ગાઝામાં ભારતીય મૂળના ઈઝરાયેલ સૈનિકનું મૃત્યુ