

અમદાવાદ, 07 ઓગસ્ટ 2024, ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 25 બેઠકો જ મળી છે. એક બનાસકાંઠાની બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. આ બેઠક પર ભાજપના રેખાબેન ચૌધરીને હરાવીને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સંસદમાં પહોંચ્યાં છે. ત્યારે ગેનીબેન સંસદમાં પણ ગુજરાતીમાં બોલીને મુદ્દાઓ ઉઠાવી રહ્યાં છે. તેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરીને ગૌવંશ પર થતા અત્યાચાર પર પ્રતિબંધિત કાયદો લાગુ થાય તેવી રજૂઆત કરી હતી. તે ઉપરાંત તેમણે પોતાના મત વિસ્તારમાં ખેડૂતો માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી હતી. તેમણે સંસદમાં કરેલી રજૂઆતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પશુઓની ખરીદી અને વીમા પર જીએસટી હટાવવાની માંગ
ગેનીબેને સંસદમાં કહ્યું હતું કે,દેશના સાધુ, સંતો, મહંતો અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે પદયાત્રા કરી અને ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે. તેમની માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને ગાયોની હત્યા પર પ્રતિબંધ લાદવામાં આવે છે.ગાયનું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. કુદરતી ખેતીમાં ગાયના છાણની જરૂર પડે છે. પશુઓની ખરીદી અને વીમા પર જીએસટી લગાવવામાં આવે છે, તેને તાત્કાલિક હટાવવામાં આવે.
પશુપાલકો અને ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી
તેમણે સંસદમાં પોતાના મત વિસ્તારનો પણ મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે, મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને તેમાં સેન્સેટિવ ઝોન છે. આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે. આ પ્રાણીઓ માટે જે જમીન ફાળવેલી છે તેમાં મોટા ભાગે મીઠાના ઉદ્યોગો આવી ગયાં છે તેના પર પ્રતિબંધ મુકવામાં આવે. તે ઉપરાંત પશુપાલન સાથે સંકળાયેલા પોતાના મત વિસ્તારના ધાનેરા,દાંતીવાડા,પાલનપુર,તાલુકામાં ખેડૂતો માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી લોકસભા ગૃહમાં કરી હતી.
આ પણ વાંચોઃબનાસકાંઠાના સાંસદ ગેનીબેન આંગણવાડીની બહેનોના પ્રશ્નો મુદ્દે દિલ્હી સુધી આંદોલન કરશે