ગુજરાતટોપ ન્યૂઝધર્મ

ગંગા દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી, નર્મદા કિનારે શ્રદ્ધાળુઓનો ધસારો, રેવા મૈયાને 52 ગજની સાડી અર્પણ કરાઈ

Text To Speech

ગુજરાતમાંથી પસાર થતી નર્મદા નદીનું ધાર્મિક મહત્વ અનેરું છે. ગંગા નદી જેટલું જ મહત્વ ધરાવતી આ નર્મદા નદીની ગંગાદશેરા નિમિતે પૂજા અર્ચના અને દીવડાઓ કરવામાં આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આ તહેવાર નર્મદા જિલ્લામાં ભારે ધામધૂમથી મનાવવામાં આવે છે. આ  દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. હિન્દુ ધર્મમાં ગંગા દશેરાનું ઘણું મહત્વ છે. શાસ્ત્રો પ્રમાણે જે દિવસે ગંગા નદી પૃથ્વી પર અવતરણ પામી હતી, તે દિવસે જેઠ શુક્લ પક્ષ દસમી તિથિ હતી. આ કારણે દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની દસમી તિથિએ ગંગા દશેરાનું પર્વ મનાવવામાં આવે છે.

નર્મદામાં સ્નાન કરવાનું મહત્વ 
પૌરાણિક માન્યતા મુજબ ગંગા દશેરાના દિવસે નર્મદાજીમાં સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે.  અમરકંટકથી નીકળતી નર્મદાનું પણ ગંગા જેટલું જ મહત્વ છે. તેના કારણે ગંગા દશેરાના દિવસો દરમિયાન નર્મદા મૈયાનો તહેવાર મનાવવામાં આવે છે. 31  મેથી 9  જૂન  સુધી ગંગાદશેરાનું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસોમાં નર્મદા મૈયાને 52 ગજની સાડી અર્પણ કરવમાં આવે છે.

નર્મદા જિલ્લાના પોઈચા ગામ નજીક નર્મદાજીમાં ત્રિવેણી સંગમ થાય છે. અમરકંટકથી ઉત્તરમાં વહેતી ઉત્તરવાહિની નદીનું મહત્વ અનન્ય છે

નર્મદા નદીના દર્શન માત્રથી જીવન ધન્ય
નર્મદા જિલ્લાના પોઈચા ગામ નજીક નર્મદાજીમાં ત્રિવેણી સંગમ થાય છે. અમરકંટકથી ઉત્તરમાં વહેતી ઉત્તરવાહિની નદીનું મહત્વ અનન્ય છે. તેના કારણે કહેવાય છે કે, નર્મદા નદીના દર્શન માત્રથી જીવન ધન્ય થાય છે અને પૂણ્ય પ્રાપ્ત થાય છે. આ જેઠ શુક્લ મહિનાની દશમી તિથિ દરમ્યાન ભારે મોટી સંખ્યામાં ભક્તો ભક્તો આવીને ગંગા દશેરાની ઉજવણીમાં ભાગ લે છે. નર્મદા મૈયાને ચૂંદડી ચઢાવે છે, તેમજ તેની ભવ્ય આરતી પણ કરવામાં આવતી હોય છે. ફળો તેમજ ચણાની પ્રસાદ આપવામાં આવે છે.

પુરાણોમાં નર્મદાનું વર્ણન 
પુરાણોમાં દર્શાવેલી વાતો પ્રમાણે નર્મદા એ ભગવાન શિવની પુત્રી છે, તે કુંવારી છે એટલે કે સાગરમાં મળતી નથી. પુરાણો મુજબ ભારતમાં આ એકમાત્ર  નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર, દેવો અને દૈત્યોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી મળી આવેલા વિષને પીવા માટે કોઈ તૈયાર નહોતું. આ વખતે શિવજીએ આ વિષ પી લીધું હતું અને અમરકંટકના પહાડો પર તપશ્ચર્યા માટે બેઠા હતા. તે દરમ્યાન તેમના શરીર પર વિષની અસર થઈ અને શરીરમાંથી પરસેવો નિકળ્યો, જેને નર્મદા નામ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

નર્મદાજીમાં સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે
લોકવાયકા અનુસાર ગંગાજીમાં મનુષ્યો પાપ ધોવા માટે સ્નાન કરે છે, સ્નાન કરીને પાપ ગંગાજીમાં ધોઈ નાંખે છે. ત્યારે ગંગાજીએ શિવજી સમક્ષ રજૂઆત કરી હતી કે મનુષ્યોના પાપ મારે કયા ધોવા જવા, ત્યારે શિવજીએ આર્શિવાદ આપીને કહ્યું હતું કે વર્ષમાં એક વખત જેઠ મહિનાની દસમે પૃથ્વી પર નર્મદાજી વહે છે, તેમાં તમારે જવાનું અને નર્મદાજીમાં સ્નાન કરીને પાપ ધોવાના. તમે જોયું હશે કે નર્મદાનું પાણી શ્યામ હોય છે. અને ગંગાદશેરાના દિવસે નર્મદાજીમાં સાક્ષાત ગંગાજી પ્રગટ થાય છે, અને ગંગાજીનું પાણી સફેદ હોય છે. ગંગાદશેરાના દિવસે નર્મદાના શ્યામ પાણીમાં ગંગાજીની સફેદ ધારા દેખાય છે. એટલે ગંગાદશેરાના દિવસે નર્મદાજીમાં સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

Back to top button