ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : પંચદેવ મંદિરમાં ચાર લોકોને કરંટ લાગ્યો, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

Text To Speech

ગાંધીનગર શહેરના સેકટર 22 નાં સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં મંદિર ખાતે મંડપ ઊભો કરતા લોખંડનો તાર બાંધતી વખતે લોખંડનાં પોલના લાઈટના ખુલ્લા વાયરના કારણે ચાર લોકોને કરંટ લાગ્યો હતો.જેમાંથી એકનું મોત થયું છે જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પંચદેવ મંદિર ખાતે ચાર લોકોને કરંટ લાગ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે આજે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું જે અંતર્ગત ગઈકાલે સાંજે મંદિર ખાતે મંડપ ઊભો કરતા લોખંડનો તાર બાંધતી વખતે લોખંડનાં પોલના લાઈટના ખુલ્લા વાયરના કારણે ચાર લોકોને કરંટ લાગ્યો હતો. જેમાથી ગુજરાત બ્રહ્મ સમાજ રાજય કક્ષા ગાંધીનગર શહેર જિલ્લાનાં યુવા ઉપપ્રમુખ તીર્થેશ ઉપાધ્યાયનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

 કંરટ લાગતા જિલ્લાનાં યુવા ઉપપ્રમુખ તીર્થેશ ઉપાધ્યાયનું મોત 

આજે બ્રહ્મ સમાજ દ્વારા પંચદેવ મંદિર ખાતે લઘુ રુદ્રી મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ગઈકાલે પૂર્વ તૈયારીના ભાગરૂપે તીર્થેશભાઈ પંચદેવ મંદિર ખાતે ગયા હતા. જ્યાં સમાજ દ્વારા મોટો મંડપ પણ બાંધવામાં આવી રહ્યો હતો. જેમા તીર્થેશભાઈ સહિતના લોકો ભગવાન શિવની પ્રતિષ્ઠા અર્થે લોખંડનો તાર એક છેડેથી બીજા છેડે બાંધી રહ્યા હતા ત્યારે તાર તીર્થેશભાઈનાં હાથમાં હતો. જેમની સાથે મંડપનો ઈલેક્ટ્રિશીયન તેમજ મૂકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની પણ હાજર હતા. આ દરમિયાન લોખંડનાં પોલમાં છુટ્ટા વીજ વાયરને તાર અડકી જતાં મૂકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની તેમજ ઈલેક્ટ્રિશીયનને કરંટ લાગ્યો હતો. આ જોઈને તીર્થેશભાઈ બધાને બચાવવા માટે હાથમાં રહેલ તારનું ગૂંચળું દૂર ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને પણ કરંટ લાગ્યો હતો અને તેઓ જમીન પર પટકાયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર ર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંતો : દાંતા તાલુકાના ખેડૂતો સાથે ટ્રેક્ટરની છેતરપિંડી, 52 ટ્રેક્ટર લઈને ઠગબાજો થઈ ગયા હતા ફરાર

Back to top button