ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને મફત સ્વાસ્થ્ય વીમો: કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

  • આયુષ્માન ભારત યોજના હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: દેશના કરોડો વરિષ્ઠ નાગરિકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે PM જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત યોજના) હેઠળ દેશના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાની જાહેરાત કરી છે. આ સાથે દેશના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા લાગશે. કેબિનેટની એક મહત્ત્વપૂર્ણ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “આયુષ્યમાન ભારત PM જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના અમારા વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક મોટો નિર્ણય છે.”

 

શ્રીમંત અને ગરીબ, તમામ શ્રેણીના વરિષ્ઠ નાગરિકોને લાભ મળશે

ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળે છે. પરંતુ હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે, પછી ભલે તેઓ ગરીબ હોય કે અમીર પરિવારના હોય અને તેમની આવક ગમે તે હોય. સરકારના આ નિર્ણયથી દેશભરના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.

5 લાખની મફત સારવારનો લાભ લઈ શકશે

આજે બુધવારે યોજાયેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને PM જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, “આયુષ્માન ભારત PM જન આરોગ્ય યોજના, સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના અમારા વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મોટો નિર્ણય છે. આ નિર્ણયમાં ઘણી માનવતાવાદી વિચારસરણી છે. તેઓને 5 લાખ સુધીની મફત સારવાર પૂરી પાડવામાં આવશે અને આ દેશના અંદાજે 4.5 કરોડ પરિવારોને આવરી લેશે, જેમાં અંદાજે 6 કરોડ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થશે.

હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ થશે

PM-JAY હેઠળ, લાભાર્થીને હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મળે છે. PM-JAYનો ઉદ્દેશ્ય સારવારનો ખર્ચ ઘટાડવાનો છે. આ યોજના હોસ્પિટલમાં દાખલ થવાના 3 દિવસ પહેલા અને હોસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસ સુધીના સમગ્ર ખર્ચને આવરી લે છે.

આ પણ જૂઓ: હવે ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ

Back to top button