ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં ચાર વર્ષની બાળકી પર 10 શ્વાનોએ હુમલો કર્યો, સારવાર દરમિયાન મૃત્યુ થયું

Text To Speech

સુરત, 6 ફેબ્રુઆરી 2024, શહેરના ભેસ્તાન વિસ્તારમાં 4 વર્ષની બાળકી ઉપર 8થી 10 રખડતાં શ્વાનોએ હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું. બાળકીના માતા-પિતા કામ પરથી ઘરે આવીને બાળકીને શોધતાં હતાં. ત્યારે તે ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં શ્વાનના ટોળા પાસેથી મળી આવી હતી. માતા પિતા તેને લઈને તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતાં પરંતુ ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.

માતા પિતા GIDCમાં મજૂરી કામ કરે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના વતની કાળુભાઈ ભેસ્તાન વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા અને એક 4 વર્ષની દીકરી સુરમિલા સાથે રહે છે. તેઓ પાંડેસરા જીઆઇડીસીમાં એક કંપનીના બોઈલરમાં કોલસા નાખવાનું કામ કરે છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે બે સંતાનને સાથે લઈ જતા જ્યારે સુરમિલા અને બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતા હતા. રાબેતા મુજબ ગત રોજ પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યાં હતાં.

બાળકી ઝાડીમાં શેરડી લેવા ગઈ અને શ્વાનોએ હૂમલો કર્યો
ઘર પાસેની ઝાડીઓમાં ગાયને ખાવા માટે નાંખવામાં આવેલી ચારમાં સુરમિલાને શેરડી દેખાઈ હતી. જેથી સુરમિલા તે શેરડી લેવા માટે ગઈ હતી. ત્યારે ત્યાં અચાનક 8થી 10 શ્વાનોએ સુરમિલાના ગળા ઉપર હુમલો કરતાં તે બેભાન થઈ ગઈ હતી.સુરમિલાના પિતા કાળુભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે મને સુરમિલા દેખાઈ ન હતી. જેથી બજરંગીએ કહ્યું હતું કે, સુરમિલા ત્યાં ઝાડીમાં પડેલી છે. જેથી મેં ત્યાં જઈને જોયું તો સુરમિલા બેભાન હાલતમાં પડેલી હતી. મેં શ્વાનોને પથ્થર મારીને ભગાવ્યાં હતાં અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચોઃસુરતમાં રસોઈ બનાવતા ગેસના બાટલામાં આગ લાગી, ત્રણ લોકો દાઝ્યા એકનું મૃત્યુ

Back to top button