ઉત્તર ગુજરાતગુજરાત

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર મોડાસામાં “વૃક્ષ કાવડ યાત્રા” યોજાઈ

  • અરવલ્લીના મોડાસા શહેરમાં નીકળી ભવ્ય “વૃક્ષ કાવડ યાત્રા”
  • ગાયત્રી પરિવાર યુથ ગૃપ મોડાસા એ કર્યું આ યાત્રાનું આયોજન
  • પ્રકૃતિના હર તત્ત્વ માં છે ઇશ્વર: ડોક્ટર ચિન્મય પંડ્યા

અરવલ્લી, 25 ઓગસ્ટ: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાન્તિકુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જી.પી.વાય.જી. ટીમ દ્વારા છેલ્લા ૧૬૪ રવિવારથી પ્રાણવાન સન્ડે અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહી છે. જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ ૪૦ વિસ્તારોમાં “મારું ઘર મારું વૃક્ષ” નામે વૃક્ષારોપણ કાર્યક્રમ કાર્યક્રમ થઈ ચૂક્યા છે. જેમાં ૧૭૦૦ વૃક્ષો ને તરુપુત્ર, તરુમિત્રના ભાવ – સંકલ્પ સાથે વાવવામાં આવ્યા છે. જે એંશી ટકા રોપાઓ મોટા વૃક્ષ થઈ રહ્યા છે.

પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેકને લઈ કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે. જે અનુરૂપ જન જનને પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા “વૃક્ષ કાવડ યાત્રા” નું સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર મોડાસામાં આયોજન કરવામાં આવ્યું છે.

શાન્તિકુંજ હરિદ્વારથી યુવા અગ્રણી તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના પ્રતિકૂલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજીએ શુભકામનાઓ પાઠવવા જણાવ્યું કે ઈશ્વરનો કણ કણમાં વ્યાપ્ત છે. આ ભાવનાથી નીકળેલી આ વૃક્ષ કાવડ યાત્રાથી લોકોના જીવનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે વિશેષ ભાવ જાગૃત થાય છે.

આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો હતો. બિલ્ડર કમલેશભાઈ પટેલ, ગોપાલ સ્નેક્સના કલ્પેશભાઈ તથા નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ દ્વારા વૃક્ષ રથનું પૂજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠે લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું. યુવાઓ ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષોના રોપાઓ લઈ ચાલતા રહ્યાં. અનેકના હાથમાં પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ જતન માટેના સદવાક્યોના બેનર હાથમાં લઈ પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ ઝુંબેશ માટેના નારાઓથી સંદેશ આપતા રહ્યાં.

શહેરના મહત્વના માર્ગો પર આ યાત્રા પસાર થઈ જેમાં માલપુર રોડ, આઈ.ટી.આઈ, પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી- શ્રીરામ મત્ત માર્ગ, પંચજ્યોત, ગોપાલ સોસાયટી થઈ રામ પાર્ક વિસ્તારના સોમનાથ મહાદેવે સમાપન કરવામાં આવ્યું હતું. રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે સોમનાથ મહાદેવ ગંગાજલથી જલાભિષેક તેમજ રસ્તામાં અનેક સ્થાનો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રસ્તામાં આમજનતાને તરુપ્રસાદ રુપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં યુવા ભાઈઓ બહેનો સહિત અનેક ગાયત્રી સાધકો તેમજ આમ જનતા જોડાયા હતા.

મોડાસામાં આ જી.પી.વાય.જી. દ્વારા છેલ્લા ૧૬૪ રવિવારથી વૃક્ષારોપણ જાગૃતિ ઝુંબેશ ચાલી રહેેલી છે. જે સંદર્ભે મોડાસાના અલગ અલગ ૪૦ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થયા છે. જેમાં ૧૭૦૦ જેટલા છોડ વાવવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, આણંદ સહિત ગુજરાતમાં અન્ય સ્થાનો પર પણ ગાયત્રી પરિવાર યુથ ગૃપ (જી.પી.વાય.જી.) દ્વારા આ રીતે પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ જતન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે.

આ પણ વાંચો: રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા

Back to top button